રાજ્યના પૂર્વ IAS પ્રદીપ શર્મા સામે મની લોન્ડરીંગ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં PMLA કોર્ટ દ્વારા 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા કાપી રહ્યા છે તેનાથી અલગ સજા ભોગવવાની રહેશે. આ ઉપરાંત કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે, સરકાર દ્વાર અધિકારીની જે સંપત્તિ ટાંચમાં લીધી છે તે સરકાર હસ્તક જ રહેશે.
પ્રદીપ શર્મા જ્યારે કચ્છ કલેકટર હતા ત્યારે વેલસ્પન ગ્રુપની કંપનીને સસ્તામાં જમીન આપી સરકારને નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. જેની સામે રાજકોટ CID ક્રાઈમ પોલીસ મથકમાં 2010માં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે આવેલી વિશેષ PMLA કોર્ટમાં વર્ષ 2016માં ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. પ્રદીપ શર્માએ ભ્રષ્ટાચારના કોરોડ રૂપિયા પોતાની પત્ની અને અમેરિકામાં રહેતા દીકરા અને દીકરીના ખાતમાં મોકલ્યા હોવાનો આરોપ છે.
પ્રદીપ શર્મા સામે PMLA હેઠળ નોંધાયેલા કેસમાં સજાનું એલાન કરતા કોર્ટે કહ્યું છે કે, પ્રદીપ શર્મા હાલ જે કેસમાં સજા કાપી રહ્યા છે તેનાથી અલગ આ સજા ભોગવવાની રહેશે. આ ઉપરાંત ઈડીએ અધિકારીની જે પ્રોપર્ટી ટાંચમાં લીધી છે તે સરકાર હસ્તક જ રહેશે.
કચ્છના તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્મા સહિત ચાર અધિકારી સામે ગંભીર આરોપો સાબિત થયા હતા. આ કેસમાં તેમને પાંચ વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સોપાઇપ અસ લિમિટેડને સમાઘોઘા, મુંદ્રામાં સરકારી જમીનની ફાળવણીમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સરકારના પરિપત્ર મુજબ કલેકટરને માત્ર 2 હેક્ટર સુધીની જમીન ફાળવવાની સત્તા હતી. આ મર્યાદા હોવા છતાં પ્રદીપ શર્માએ 47,173 ચોરસ મીટર જમીન મંજૂર કરી હતી. એને લઇને પ્રદીપ શર્માને કોર્ટ દ્વારા 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
1999 બેચના IAS અધિકારી હતા પ્રદીપ શર્મા
રસાયણશાસ્ત્રમાં સ્નાતક કરનારા પ્રદીપ શર્માએ ગુજરાત વહીવટી સેવાની પરીક્ષા પાસ કરી હતી અને વર્ષ 1981માં તેઓ ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા. ત્યાર બાદ વર્ષ 1999માં આઇએએસ અધિકારી તરીકે બઢતી મળ્યા બાદ જામનગર, ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર રહ્યા હતા. ત્યાર બાદ રાજકોટ અને કચ્છ જિલ્લાના કલેક્ટર બન્યા હતા.