ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષ ૨૦૨૬માં પણ રક્ષાબંધનના તહેવારો દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા ટ્રીપના સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં તા. ૨૬ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વિવિધ રૂટ પર કુલ ૬,૫૦૦ જેટલી એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવશે.
GSRTC દ્વારા અમદાવાદ, ગોધરા, વડોદરા, પાલનપુર, નડીયાદ તથા પાવાગઢ, સુરત, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, વલસાડ સહિતના પ્રવાસન અને તીર્થધામોના રૂટ પર બસ દોડાવવામાં આવશે.
ગત વર્ષે રક્ષાબંધન પર્વ દરમિયાન નિગમ દ્વારા નિયમિત સર્વિસો ઉપરાંત ૬,૪૦૨ એક્સ્ટ્રા ટ્રીપો સંચાલિત કરી ૩.૩૩ લાખ મુસાફરોને સુરક્ષિત અને સુવિધાજનક પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી.
ચાલુ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે બહેનો અને પરિવારજનો કોઈપણ પ્રકારની અગવડ વિના મુસાફરી કરી શકે તે હેતુથી એડવાન્સ બુકિંગ અને વધારાની બસોની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નિગમ દ્વારા જાહેર જનતાને આ વિશેષ પરિવહન સેવાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવે છે.