ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગુજસેલથી સરકારના વિમાનમાં દિલ્હી ખાતે પહોંચ્યા હતા. ગુજરાતના ત્રણેય નેતાઓએ ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. મોદીના નિવાસ્થાને ગુજરાતના ભાજપના નવા સંગઠનને લઈને ચર્ચા કરાઈ હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ અઠવાડિયામાં ગુજરાત ભાજપના નવા સંગઠનની જાહેરાત થઈ શકે છે.
પીએમ મોદી સાથેની અચનાક ત્રણેય નેતાઓની દિલ્હી ખાતે બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રત્નાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી નવા સંગઠનની જાહેરાત કરવાની છે, પરંતુ હજી સુધી સંગઠન જાહેર થયું નથી, ત્યારે આ બેઠકમાં સંગઠનને લઈને પણ મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હી ખાતે છે ત્યારે તેમની સાથે પણ ત્રણેય નેતાઓ મુલાકાત કરીને વડાપ્રધાન સમક્ષ નવા સંગઠનના માળખા અંગે ચર્ચા કરી હતી.
૨૦થી ૨૫ નામોની જાહેરાત થઈ શકે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રવિવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે પીએમ મોદી સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂક અને મંત્રીમંડળ વિસ્તરણ પછી બે મહિનાથી વધુ સમયથી બાકી રહેલા નવા રાજ્ય સંગઠનમાં નિમણૂકો અંગે ચર્ચા કરી હતી. આ બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. ગુજરાત રાજ્ય ભાજપના સૂત્રો માને છે કે આ અઠવાડિયામાં નવા રાજ્ય સંગઠનની જાહેરાત થઈ શકે છે. આમાં ત્રણ મહાસચિવ, આઠ ઉપપ્રમુખ અને લગભગ ૧૦ મંત્રીઓ સહિત ૨૦થી ૨૫ નામોનો સમાવેશ થઈ શકે છે. નવા સંગઠનમાં યુવા અને નવા ચહેરાઓ તેમજ મહિલાઓને પ્રાથમિકતા મળવાની અપેક્ષા છે. પક્ષના મોરચામાં પણ ફેરફારો થશે અને ઘણા જૂના ચહેરાઓને દૂર કરવામાં આવી શકે છે.