જામનગરમાં ગુરુદ્વારા નજીક થઈ રહેલી ‘વીર બાળ દિવસ’ની ઉજવણીમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા જોડાયા
જામનગરમાં ગુરુદ્વારા નજીક થઈ રહેલી ‘વીર બાળ દિવસ’ની ઉજવણીમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા જોડાયા
December 27, 2025 11:43 AM
નગરના મેયર,ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના મહાનુભાવો પણ સામેલ થયા
જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફલાય ઓવરબ્રિજ નીચે ‘વીર બાળ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, અને ગુરુ ગોવિંદસિંઘજીના સાહિબઝાદાઓના બલિદાનને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે, જેના ગઈ કાલના ચોથા દિવસે પણ પ્રચંડ જન સમર્થન મળ્યું હતું, અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને જામનગરના ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા તથા અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, નગરના મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષ જોષી, લોહાણા અગ્રણી ઉદ્યોગપતિ મિતેશભાઇ લાલ, તેમજ શહેર ભાજપના અન્ય કોર્પોરેટરો, હોદ્દેદારો કાર્યકરો વગેરે પણ બાલ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા.
સર્વે મહાનુભાવોએ ઉપસ્થિત રહી સાહીબઝાદાઓના બલિદાનની ડોક્યુમેન્ટરી નિહાળી હતી, તેમજ વીર બાળકો સાથે સેલ્ફી પણ પડાવી હતી. મંત્રી રિવાબા સહિતના અગ્રણીઓએ સનાતન સંસ્કૃતિની રક્ષા કાજે ગુરુ ગોવિંદસિંઘજીના બલિદાન તેમજ તેઓના સાહિબઝાદાઓના બલિદાનનો સમગ્ર ઇતિહાસ જામનગર શહેર- જિલ્લાની જનતાને પ્રદર્શિત કરવા માટે સમગ્ર ગુરુદ્વારા કમિટીને અભિનંદન પાઠવ્યા હતા.
જામનગરના ગુરુદ્વારા કમિટી દ્વારા ઉપરોક્ત કાર્યક્રમ પ્રતિદિન સાંજે ૭.૦૦ વાગ્યાથી રાત્રિના ૧૦.૦૦ વાગ્યા સુધી અવિરત ચાલુ રાખવામાં આવ્યો છે, સાથે સાથે દૂધની લંગર પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે, અને આગામી ૨૮ ડિસેમ્બર સુધી ઉજવણી ચાલુ રહેશે, જેનો અન્ય શહેરીજનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.