BREAKING NEWS

નેપાળમાં ભયાનક હિંસા: બે જૂથો વચ્ચેની અથડામણ બાદ ભારત સરહદે હાઇ એલર્ટ; 2 જિલ્લામાં અનિશ્ચિત મુદતનો કરફ્યુ લાદવામાં આવ્યો

  • July 30, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના પડોશી દેશ નેપાળના દક્ષિણી હિસ્સામાં કોમી તણાવ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ૨૬ જુલાઈના રોજ સુંસરી જિલ્લાના કપ્તાનગંજ વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી હિંસક અથડામણ અને એક યુવકના મોત બાદ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.


નેપાળના આ દક્ષિણ વિસ્તારની સરહદ ભારતના બિહાર રાજ્ય સાથે જોડાયેલી હોવાથી, સરહદી વિસ્તારોમાં પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે અને ભારત-નેપાળ સરહદ પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે નેપાળ પ્રશાસને આકરાં પગલાં ભરતાં સુંસરી અને સિરાહા જિલ્લાના અનેક વિસ્તારોમાં અનિશ્ચિત મુદતનો કરફ્યુ લાદી દીધો છે. આ સમગ્ર હિંસા અને તણાવ અંગેનો સવિસ્તાર અહેવાલ નીચે મુજબ છે.


નેપાળના સિરાહા જિલ્લા પ્રશાસને સ્થિતિ વધુ વણસે નહીં તે માટે ગુરુવારે બપોરે ૨ વાગ્યાથી આગળના આદેશ સુધી વ્યાપક વિસ્તારોમાં કરફ્યુ લાગુ કરી દીધો છે. આ કરફ્યુ પૂર્વ-પશ્ચિમ હાઇવેના કસાહા ખોલાથી લઈને ચોહરવા ચોક સુધી અને ઉત્તર-દક્ષિણના અનેક મુખ્ય ચોરાહાઓ સુધી લંબાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સુંસરી જિલ્લાના ઇનરુવા, દુહાબી, ભોક્રાહા અને દેવાનગંજ જેવા વિસ્તારોમાં અગાઉથી લાગુ કરાયેલો કરફ્યુ ગુરુવારે પણ યથાવત રાખવામાં આવ્યો હતો.


કેવી રીતે શરૂ થયો વિવાદ?
પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમગ્ર ઘટના ૨૬ જુલાઈના રોજ સુંસરી જિલ્લાના દેવાનગંજ ગ્રામીણ પાલિકા હેઠળ આવતા કપ્તાનગંજ વિસ્તારમાં બની હતી. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં હિન્દુ શ્રદ્ધાળુઓ કોશી બેરાજથી પવિત્ર જળ લઈને કપ્તાનગંજ ચોક તરફ જઈ રહ્યા હતા. આ યાત્રા દરમિયાન ડીજે પર મોટેથી સંગીત વાગી રહ્યું હતું.


રસ્તામાં મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ મોટેથી વાગતા ડીજે મ્યુઝિક સામે વાંધો ઉઠાવ્યો હતો. જોતજોતામાં સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને પક્ષો વચ્ચે પહેલા બહેસ થઈ, ત્યારબાદ હાથપાઈ થઈ અને આખરે સ્થિતિ ભયાનક હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી.


તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ અને પોલિસ ફાયરિંગમાં યુવકનું મોત
તણાવ વધતાં જ બંને તરફથી લોકોના તોળાં એકઠા થઈ ગયા હતા, જેમના હાથમાં લાકડીઓ, વાંસ અને લોખંડના સળિયા જેવા હથિયારો હતા. પરિસ્થિતિ બેકાબૂ બનતાં સ્થળ પર પહોંચેલી પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.


આ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા કંટ્રોલ ફાયરિંગમાં ઓમપ્રકાશ મહેતા નામના એક સ્થાનિક યુવકનું ગોળી વાગવાથી મોત નીપજ્યું હતું, જેનાથી લોકોનો આક્રોશ વધુ ભડકી ઊઠ્યો હતો.


વડાપ્રધાન બાલેન શાહ એક્શનમાં: ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
નેપાળમાં ફેલાયેલી આ હિંસા અને અશાંતિને પગલે નેપાળના વડાપ્રધાન બાલેન શાહની અધ્યક્ષતામાં 'રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ' (NSC) ની એક ઈમરજન્સી અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશની સાર્વત્રિક સુરક્ષા વ્યવસ્થા અને સુંસરીની હિંસા પર ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી. સરકાર દ્વારા દેશમાં સામાજિક સદ્ભાવ, શાંતિ અને રાષ્ટ્રીય એકતા જાળવી રાખવા તમામ સુરક્ષા એજન્સીઓને કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.


​​​​​​​પ્રશાસનની કડક કાર્યવાહી
હિંસા અન્ય વિસ્તારોમાં ન ફેલાય તે માટે પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે કરફ્યુના નિયમોનો ભંગ કરનારાઓ સામે કાનૂની જોગવાઈઓ હેઠળ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

સ્થાનિક રાજકીય પક્ષો અને સુરક્ષા દળોના સંયુક્ત પ્રયાસોથી પરિસ્થિતિ ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહી હોવાનો પ્રશાસને દાવો કર્યો છે, પરંતુ કોઈ પણ પ્રકારની અફવા કે નવી હિંસાને રોકવા માટે ભારત-નેપાળ સીમા અને પ્રભાવિત વિસ્તારોમાં સશસ્ત્ર દળો તૈનાત રાખવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News