રામનાથ મંદિર પાસે ચિક્કાર ભીડ વચ્ચેથી પીઆઇ જીપ લઇને નીકળતા ભારે વિવાદ
રામનાથ મંદિર પાસે ચિક્કાર ભીડ વચ્ચેથી પીઆઇ જીપ લઇને નીકળતા ભારે વિવાદ
September 01, 2026 02:37 PM
રાજકોટ શહેરના આજી નદી કાંઠે આવેલા અને લાખો લોકોની આસ્થાના કેન્દ્ર સમા રામનાથ મહાદેવ મંદિરે ગઈકાલે શ્રાવણીયા સોમવારને લઈ સાંજે હજારો ભાવિકો,દર્શનાર્થીઓની ચિક્કાર ભીડ હતી. સાથોસાથ ભાવિકોને નિ:શૂલ્ક ફરાળ વિતરણ થતું હતું તેવા સમયે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ પોતાની જીપ ભીડ વચ્ચે ઘૂસાડતા ભાજપના મહામંત્રી સહિતના અગ્રણીઓએ જીપ અટકાવતા બોલાચાલી થઈ હતી. આ બાબતે શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, શહેર ભાજપના મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, જીતુભાઈ મહેતા સહિતના આગેવાનો અને કાર્યકરો ગઈકાલે રામનાથ મહાદેવ મંદિર પાસે ફરાળ વિતરણની વ્યવસ્થામાં હતા અને ભાવિકોની ચિક્કાર ભીડ હતી જેના પગલે ખુદ પોલીસ જ વ્યવસ્થાના ભાગરૂપે તમામ ટુ-વ્હીલરોને અંદર આવવાની મનાઈ કરીને આડસો મૂકી હતી. આ સ્થિતિ વચ્ચે પણ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જે.વી. વાઢીયા અહીં સરકારી જીપ લઈને આવ્યા હતા અને ભાવિકોની ભીડ વચ્ચે જીપ ઘૂસાડતા કાર્યકરોએ તેમને અટકાવ્યા હતા. બાદમાં અગ્રણીઓએ પીઆઇને કહ્યું હતું કે, તમારી વ્યવસ્થા છે અને તમે આ રીતે જીપ નાખો તે બરાબર નથી જેનાથી પીઆઇએ તું મને કહેવાવાળો કોણ બંદોબસ્ત તું મને શીખડાવ નહીં કહી ઉધ્ધત વર્તન કર્યું હોવાનો ભાજપના મહામંત્રી સિનિયર નેતા વલ્લભ દુધાત્રાએ આક્ષેપ કર્યો છે.બીજી તરફ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે વોર્ડના કાર્યકરો શહેર ભાજપના પ્રમુખને તેમજ સિનિયર નેતાઓને પ્રદેશ ભાજપ અને સરકારમાં આ અંગે રજૂઆત કરીને પીઆઇ સામે પગલાં લેવાની માંગણી કરશે તેવું જાણવા મળ્યું છે.