નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર દ્વારા આયોજિત સેમિનારમાં સાયબર ફ્રોડ અને સુરક્ષિત ડિજિટલ વ્યવહારો અંગે અપાયું માર્ગદર્શન
આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટના વધતા વ્યાપની સાથે સાયબર સુરક્ષા અનિવાર્ય બની છે, ત્યારે ગઈકાલે ૧૦ ફેબ્રુઆરીના રોજ 'સેફર ઇન્ટરનેટ ડે' નિમિત્તે આઈ.ટી.આઈ. જામનગર ખાતે એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર (NIC) ના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તાલીમાર્થીઓને સાયબર ક્રાઈમ સામે જાગૃત કરવાનો અને તેમને સુરક્ષિત ડિજિટલ વાતાવરણ પૂરું પાડવાનો હતો.

સેમિનારનો પ્રારંભ સંસ્થાના આચાર્ય આર. એસ. ત્રિવેદી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આઈટી (IT) ક્ષેત્રના નિષ્ણાતોએ વક્તા તરીકે ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને આધુનિક સાયબર જોખમો વિશે માહિતગાર કર્યા હતા. સેમિનારમાં ખાસ કરીને મજબૂત પાસવર્ડ રાખવાનું મહત્વ, સોશિયલ મીડિયા અને બેંકિંગ વ્યવહારોમાં 'ટુ-સ્ટેપ વેરિફિકેશન'નો ઉપયોગ તેમજ અજાણી લિંક્સ અને ફેક ન્યૂઝથી બચવા માટેની પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી.
નિષ્ણાતોએ તાકીદ કરી હતી કે કોઈપણ સંજોગોમાં ઓટીપી (OTP) અન્ય વ્યક્તિ સાથે શેર ન કરવો જોઈએ.આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ સાયબર ગુનાનો ભોગ બને, તો ત્વરિત મદદ મેળવવા માટે સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ અને ઓનલાઇન સાયબર ક્રાઈમ પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રાયોગિક માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી.

કાર્યક્રમમાં આઈ.ટી.આઈ. જામનગરના આચાર્ય, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર તથા મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ અને સ્ટાફગણ જોડાયો હતો. સેમિનારના અંતે તમામ ઉપસ્થિતોએ ટેકનોલોજીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની અને ઇન્ટરનેટના માધ્યમથી સાવચેતી રાખવાની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી....