BREAKING NEWS

ભારત સમુદ્ર પર 64 કિલોમીટર લાંબો બંધ બાંધશે, ખંભાતના અખાતમાં બનશે વિશાળ જળાશય

  • September 07, 2026 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)







નદીનું પાણી સમુદ્રમાં વહીને જતું અટકાવવું સામાન્ય રીતે મુશ્કેલ માનવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં વર્ષોથી ચર્ચામાં રહેલો કલ્પસર પ્રોજેક્ટ આ વિચારને સાકાર કરવાનો મહત્વાકાંક્ષી પ્રયાસ છે. ગુજરાત સરકાર દ્વારા ખંભાતના અખાતમાં દરિયાના એક ભાગને બંધ કરીને વિશાળ મીઠા પાણીનો જળાશય બનાવવાની યોજના છે. પ્રોજેક્ટ સાકાર થાય તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોને પાણી, સિંચાઈ, પરિવહન અને ઊર્જા ક્ષેત્રે મોટો લાભ મળી શકે છે.



યોજના મુજબ ખંભાતના અખાતમાં આશરે 60થી 64 કિલોમીટર લાંબો બંધ અથવા ડાઇક બનાવવાનો પ્રસ્તાવ છે. આ બંધ દ્વારા સાબરમતી, મહી, ધાધર અને નર્મદા જેવી નદીઓમાંથી આવતું પાણી એકત્રિત કરવામાં આવશે. અંદાજે 7,800 મિલિયન ક્યુબિક મીટર (MCM) મીઠું પાણી સંગ્રહિત કરવાની ક્ષમતા ધરાવતા આ જળાશયનું ક્ષેત્રફળ આશરે 1,600થી 2,000 ચોરસ કિલોમીટર હોવાનો અંદાજ છે.



પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો સૌરાષ્ટ્રના પાણીની અછત ધરાવતા વિસ્તારોને મળવાની શક્યતા છે. યોજના મુજબ સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓના 42 તાલુકાઓમાં આશરે 10 લાખ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી મળી શકે છે. પાણીની ઉપલબ્ધતા વધવાથી પાકનું નુકસાન ઘટાડી કૃષિ ઉત્પાદકતા વધારવાનો હેતુ છે.



કલ્પસર પ્રોજેક્ટમાં માત્ર પાણી સંગ્રહ જ નહીં, પરંતુ રોડ અને રેલ કોરિડોર પણ મહત્વનો ભાગ છે. ખંભાતના અખાત પર પરિવહન સુવિધા વિકસાવવામાં આવે તો ભાવનગર અને સુરત વચ્ચેનું અંતર નોંધપાત્ર રીતે ઘટી શકે છે. તેના કારણે મુસાફરીનો સમય, ઇંધણ અને પરિવહન ખર્ચ ઘટવાની સાથે વેપાર અને ઉદ્યોગને પણ વેગ મળી શકે છે.



આ ઉપરાંત પ્રોજેક્ટમાં આશરે 2,470 મેગાવોટ સૌર અને પવન ઊર્જા ઉત્પાદનની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. વિશાળ જળાશય દ્વારા ભવિષ્યમાં પીવાના પાણી અને ઔદ્યોગિક પાણીની જરૂરિયાતો પૂરી કરવામાં પણ મદદ મળી શકે છે.



કલ્પસર ગુજરાત સરકારનો અત્યંત મહત્વાકાંક્ષી અને લાંબા ગાળાનો પ્રોજેક્ટ છે. તેના માટે કેન્દ્ર સરકાર તેમજ નેધરલેન્ડ તરફથી ટેકનિકલ સહકારની વાત કરવામાં આવી છે અને NEDECO જેવી ડચ કન્સલ્ટન્સી દ્વારા ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પ્રોજેક્ટનો અંદાજિત બાંધકામ ખર્ચ ₹1.25 લાખ કરોડથી ₹1.33 લાખ કરોડ વચ્ચે રહેવાની શક્યતા દર્શાવવામાં આવે છે. જો આ યોજના તેના લક્ષ્યો મુજબ સાકાર થાય, તો પાણીની અછત, કૃષિ, ઊર્જા અને પરિવહન—ચારેય ક્ષેત્રે ગુજરાતના વિકાસને નવી દિશા મળી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application