પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને સમુદ્રી નાકાબંધીના ભય વચ્ચે ભારત માટે મોટા અને આશ્વાસનદાયક સમાચાર આવ્યા છે. ભારતીય ધ્વજ ધરાવતું અત્યંત મહત્વનું એલપીજી ટેન્કર 'જગ વિક્રમ' આજે ગુજરાતના કંડલા બંદર પર સુરક્ષિત રીતે લંગર્યું છે. આ જહાજ અંદાજે 20 હજાર મેટ્રિક ટન રાંધણ ગેસનો જથ્થો લઈને ભારત પહોંચ્યું છે, જે દેશની ઉર્જા સુરક્ષા માટે નિર્ણાયક માનવામાં આવે છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે સતત ચાલી રહેલા સંઘર્ષ બાદ તાજેતરમાં બે અઠવાડિયાના કામચલાઉ સંઘર્ષવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ શાંતિના સમયગાળાનો લાભ લઈને 'જગ વિક્રમ' વિશ્વના સૌથી સંવેદનશીલ ગણાતા સમુદ્રી માર્ગ 'હોર્મુઝની સામુદ્રધુની'ને પાર કરનાર પ્રથમ ભારતીય જહાજ બન્યું છે. શુક્રવારની મધ્યરાત્રિથી શનિવાર સવારની વચ્ચે આ જહાજે જોખમી વિસ્તાર પસાર કર્યો હતો અને ઓમાનની ખાડી વાટે અરબી સમુદ્રમાં પ્રવેશ કરી સફળતાપૂર્વક ભારતની સરહદે પહોંચ્યું છે.
ભારત પોતાની ઘરગથ્થુ અને ઔદ્યોગિક ઉર્જા જરૂરિયાતો માટે મોટાપાયે આયાત પર નિર્ભર છે. આંકડાકીય રીતે જોઈએ તો કાચું તેલ 88 ટકા આયાત પર નિર્ભર, કુદરતી ગેસ 50 ટકા આયાત પર નિર્ભર અને એલપીજી 60 ટકા પુરવઠો વિદેશથી મંગાવવામાં આવે છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે પુરવઠા સાંકળ ખોરવાતા ભારતમાં કોમર્શિયલ વપરાશકારો માટે ગેસના પુરવઠામાં કાપ મૂકવાની ફરજ પડી હતી. જોકે, 'જગ વિક્રમ' દ્વારા લાવવામાં આવેલા આ મોટા જથ્થાને કારણે હવે બજારમાં પુરવઠો પુનઃસ્થાપિત થવાની અને અછત દૂર થવાની પ્રબળ સંભાવના છે.
માર્ચ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં પર્સિયન ગલ્ફમાંથી સુરક્ષિત બહાર નીકળનાર આ નવમું ભારતીય જહાજ છે. ઉલ્લેખનીય છે કે જ્યારે પશ્ચિમ એશિયામાં સંઘર્ષની શરૂઆત થઈ ત્યારે તે વિસ્તારમાં કુલ 28 ભારતીય જહાજો હાજર હતા. તેમાંથી 13 જહાજો અત્યાર સુધીમાં બહાર નીકળી શક્યા છે, પરંતુ હજુ પણ આશરે 15 જેટલા જહાજો તે વિસ્તારમાં અટવાયેલા છે. આ જહાજો પણ સુરક્ષિત રીતે ભારત પરત ફરે તે માટે ભારતીય વિદેશ મંત્રાલય અને નૌકાદળ સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે.
'જગ વિક્રમ'નું સુરક્ષિત આગમન એ સંકટના સમયે ભારતીય નૌકા પરિવહન ક્ષેત્ર માટે મોટી સફળતા માનવામાં આવે છે. આનાથી તેલ અને ગેસના ભાવમાં થતા વધારા પર પણ લગામ લાગવાની આશા છે.