જામનગર સહિત સમગ્ર હાલારમાં મેઘરાજાએ ગરબીમાં ભારે વિક્ષેપ કર્યો છે, ગઇકાલે જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે જયારે કાલાવડમાં ઝાપટા પડયા હતાં, આવતીકાલ સાંજ સુધી હજુ પણ હાલારમાં ભારે વરસાદની આગાહી છે જેને કારણે લોકોમાં પણ ચિંતાનું મોજુ ફરીવળ્યું છે.
નવરાત્રી પુરી થવાની તૈયારીમાં છે, આ વખતે મેઘરાજાએ કેટલાક સ્થળોએ વરસાદ વરસાવીને ભંગ પાડયો હતો, ગઇકાલે પણ જામનગરમાં ઝાપટા પડયા હતાં, જામજોધપુરથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલે ઘનઘોર વાદળો વચ્ચે ધીમી ધારે મેઘરાજા વરસતા ગરબા મંડળોમાં પણ નુકશાન થયું હતું, મંડપ પલળી ગયા હતાં અને સાઉન્ડ સિસ્ટમને પણ નુકશાન થયું હતું.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૨૯ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૫ ડીગ્રી, હવામાં ભેજ ૯૨ ટકા, પવનની ગતિ ૩૦ થી ૩૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે.
કેટલાક ગામડાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂકયો છે તો કેટલાક ગામડાઓમાં જોઇએ તેટલો વરસાદ થયો નથી. જો કે મોટાભાગના ચેકડેમો ભરાઇ ગયા છે, જેને કારણે પીવાના પાણીની કે ખેતીમાં અપાતા પાણીને કોઇ મુશ્કેલી નહીં પડે.