ધી જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી.જામનગરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગ ધીરુભાઈ અંબાણી વાણીજ્ય ભવન-જામનગર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં બેંકના ડીરેક્ટર અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં હેમંત ખવાએ બેંકના બોર્ડ સમક્ષ ચીમકી ઉચારી હતી કે જો આગામી ૧૫ દિવસમાં ભોગ બનનાર ખેડુતો અને ગ્રાહકોને તેમના રૂપિયા પરત આપવામાં નહિ આવે તો ધી જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. ની જામજોધપુર શાખાને તાળાબંધી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હેમંત ખવાએ ગત તારીખ-૦૭/૦૬/૨૦૨૫ ના રોજ જામનગર આવેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી આ બાબતે રજુઆત કરી તમામ ગ્રાહકોને પોતાની મરણમુડી પરત મળે તે માટે તાત્કાલિક પગલા લેવા ભલામણ કરી હતી.
આજની બેઠકમાં હેમંત ખવાએ આ મુદે ઉચ્ચ અધિકારીઓને ખખડાવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે બેંકના એક ડીરેક્ટર તરીકે હું ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા અને બેંકની ગેરરીતિઓ સામે કડક પગલા લેવાની માંગ કરું છું. હેમંત ખવાની રજુઆતને પગલે બેંકના ચેરમેન જીતુભાઈ લાલની અધ્યક્ષતામાં એક ફ્રોડ કમિટીની રચના કરવામાં આવી હતી. વધુમાં તેઓએ બેંકની આંતરિક વ્યવસ્થામાં સુધારો કરી, નિયમિત ઓડીટ અને વિજીલન્સ ચેકિંગને ફરજીયાત કરવા માટે સુચનો કર્યા હતા.
ધી જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. ની જામજોધપુર શાખાના ૬ જેટલા કર્મચારીઓ દ્રારા આજથી આઠ વર્ષ પહેલા બેંકના ૨૨૦ જેટલા ગ્રાહકોની ફિક્સ ડીપોઝીટ અને બચત ખાતામાંથી અંદાજે રૂપિયા ૩.૧૮ કરોડની છેતરપીંડી કરવામાં આવેલ હતી. આ બાબતે સૌ પ્રથમ તો પોલીસ દ્રારા ફરિયાદ પણ લેવામાં આવી નહોતી, ત્યારબાદ હાઈકોર્ટની સુચનાથી પોલીસ દ્રારા ફરિયાદ દાખલ કરવામાં આવેલ પરંતુ ફરિયાદ માત્ર ફોર્માલીટી માટે દાખલ કરવામાં આવી હોય તેમ અત્યારસુધીમાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી કે ના તો એકપણ ગ્રાહકને રૂપિયા પરત આપવામાં આવ્યા. આ ઘટનાથી સ્થાનિક ગ્રાહકોમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે.
ધી જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. માં મુખ્યત્વે ખેડુતોના ખાતા હોય છે અને સ્વાભાવિક છે કે ભોગ બનનાર પણ મોટાભાગના ખેડુતો જ હોય ત્યારે હમેશા ખેડુતોના પડખે ઉભા રહેતા હેમંત ખવાએ ફરી એક વખત તંત્ર સામે મોરચો માંડ્યો છે.
આ બેંક ખેડુતો દ્રારા શેરભંડોળ એકત્ર કરી ઉભી કરવામાં આવેલ બેંક છે પરંતુ વર્તમાન સમયમાં બેંક દ્રારા ખેતી સિવાયની અન્ય લોન કે પ્રવૃત્તિ માટે ૯.૨૫% ના વ્યાજદર લાગુ કરેલ છે જયારે ખેતીને પ્રોત્સાહન આપતી લોન કે પ્રવુતિ માટે ૯:૫૦% વ્યાજદર લાગુ કરેલ છે જે બાબતે બેઠકમાં હેમંત ખવાએ ઉગ્ર વિરોધ નોંધાવી વ્યાજદર ઘટાડવાની માંગ કરી હતી.
અંતમાં, જે કર્મચારીઓ દ્રારા નાણાકીય ઉચાપત કરવામાં આવી છે તેમની સામે કડક કાર્યવાહી કરી ભોગ બનનાર તમામ ગ્રાહકોના રૂપિયા વ્યાજ સહીત પરત કરવામાં આવે. જો આગામી ૧૫ દિવસમાં ગ્રાહકોને રૂપિયા પરત નહિ મળે તો ગ્રાહકો અને ખેડૂતોને સાથે રાખી બેંકની જામજોધપુર શાખાને તાળાબંધી જેવા ઉગ્ર કાર્યક્રમો કરવામાં આવશે તેમ હેમંત ખવાએ મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું.