BREAKING NEWS

જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને ૭૭- જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચ યોજાઈ

  • November 19, 2025 01:48 PM 

ધુતારપરથી ધૂડશીયા ગામ સુધી યોજાયેલ પગપાળા યાત્રામાં સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહીતના મહાનુભાવો જોડાયા


સરદાર વલ્લભભાઈ પટેલના વિરાટ વ્યક્તિત્વને શોભે તે પ્રકારે નર્મદા જિલ્લામાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ થયું છે : મંત્રી


આજની યુવા પેઢીએ સરદાર પટેલના કાર્યોમાંથી પ્રેરણા લેવી જોઈએ: સાંસદ


 
જામનગર તા.૧૯ નવેમ્બર, રાજ્યના વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ અને વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ૭૭-જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં ‘યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ધુતારપરથી ધૂડશીયા ગામ સુધી યોજાયેલ પગપાળા યાત્રામાં સાંસદશ્રી પુનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહીતના મહાનુભાવો જોડાયા હતા. 


કાર્યક્રમમાં પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ તેમના દૃઢ મનોબળને કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે. તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલીના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતાઓમાં થાય છે. દેશમાં આંતરિક સંઘર્ષ ન થાય તે માટે સરદાર પટેલે લોકોને એકજુથ કરી એકતા લાવવાનું કામ કર્યું હતું. ત્યારે સમગ્ર ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે એકતાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોનું શોષણ ન થાય તે પ્રકારે દેશના ખેડૂતો માટે સરદાર પટેલે અનેક લડતો અને સત્યાગ્રહો કર્યા હતા. 


સરદાર વલ્લભભાઈ પટેલના વિરાટ વ્યક્તિત્વને શોભે તે પ્રકારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ કરાવ્યું છે. અને આજુબાજુમાં પણ પ્રવાસનના અનેક સ્થળોનો વિકાસ કર્યો છે. જે જોવા માટે વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવે છે. સરદાર પટેલના આદર્શોને જનજન સુધી પહોંચાડવા માટે એકતાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકો પણ ઉત્સાહભેર સહભાગી થઇ રહ્યા છે.


યુનિટી માર્ચમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે આપણને ‘એક ભારત, અખંડ ભારત’ની અમુલ્ય ભેંટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે વિકસિત ભારતના સંકલ્પમાં સૌ એકતા દાખવી સમરસથી દેશની વિકાસયાત્રાને આગળ ધપાવીએ. સરદાર પટેલના પ્રયાસોના પરિણામે દેશમાં વિવિધતામાં એકતા જળવાઈ રહી છે. તેઓના આ અમુલ્ય યોગદાનને જીવંત રાખવા માં નર્મદાના કિનારે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજની યુવા પેઢીએ સરદાર પટેલના કાર્યો માંથી પ્રેરણા લેવી જોઈએ. સરદાર પટેલે પોતાનું સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું હતું. વિકસિત ભારતના નિર્માણ માટે સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવવા પણ સાંસદશ્રીએ અપીલ કરી હતી. 


યુનિટી માર્ચ દરમિયાન ધુતારપર, ધૂડશિયા તથા આજુબાજુના ગામના લોકો પદયાત્રામાં સહભાગી થયા હતા. યાત્રા દરમિયાન મહાનુભાવોએ સરદાર પટેલ તથા બી.આર.આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.  સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને સરદાર પટેલના જીવન પર આધારિત ગીતોના પરિણામે વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. એકતા યાત્રામાં પોસ્ટર તેમજ  તિરંગા લહેરાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ રાસમંડળીઓ દ્વારા ગરબાઓ અને રાસ રજુ કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ વિભાગના સ્ટોલનું પ્રદર્શન રજુ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તથા સ્ટોલ પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી હતી.

​​​​​​​

કાર્યક્રમમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમમાં કલેકટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, અગ્રણી ડો.વિનોદભાઈ ભંડેરી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ બોરસદીયા, એપીએમસી ચેરમેન મુકુંદભાઈ સભાયા, એપીએમસી ડાયરેક્ટર પદુભા જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, અગ્રણીઓ કુમારપાલસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, અભિષેકભાઈ પટવા, કાનજીભાઈ પરમાર, સરપંચ, આગેવાનો, અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તથા હરીદેવ ગઢવી દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application