એકતરફ ધીરે ધીરે શિયાળાને વિદાય શરૂ થઇ છે પરંતુ હજુ હવામાન ખાતાએ જણાવ્યું છે કે તા.૨૦ ફેબ્રુઆરી સુધી તો ઠંડી રહેશે: પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી તો ગરમીની શરૂઆત થઇ ચુકી છે જો કે હજુ સવાર સાંજ ટાઢોડુ રહે છે પરંતુ મહતમ તાપમાનમાં ૩ ડીગ્રીનો વધારો થયો છે અને તાપમાન ૩૧ ડીગ્રીએ પહોંચ્યુ છે ત્યારે રાજકોટ અને સુરતમાં મહતમ તાપમાન ૩૫ ડીગ્રીએ પહોંચી ચુકયુ છે.
કલેકટર કચેરીનાં કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રી, મહતમ તાપમાન ૩૧ ડીગ્રી, હવામા ભેજ ૬૩ ટકા અને પવનની ગતિ ૧૫ થી ૨૦ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગામડાઓમાં પણ ત્રણ દિવસથી ઠંડીનુ પ્રમાણ ઘટયુ છે જેનાથી લોકોને સારો એવો ફાયદો થયો છે. જો કે આગામી દિવસોમાં હજુ એકવાર ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
આ વર્ષે ઠંડી એકાદ મહિનો મોડી શરૂ થઇ છે અને કદાચ શિયાળો એકાદ મહિનો મોડો પુરો થશે તેમ લાગે છે, એકધારી પંદર દિવસ સુધી ઠંડી પડતા હાલારનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું ધીરે ધીરે ઠંડી ઘટવાની શરૂઆત થઇ છે પરંતુ હજુ મહતમ તાપમાન ૨૮ ડીગ્રી આસપાસ રહ્યા કરે છે. હવે ધીરે ધીરે બપોરના ભાગે ગરમી શરૂ થવાની શકયતા છે.
હવે ધીરે ધીરે લઘુતમ તાપમાન વધતુ જાય છે જો કે ત્રણ ચાર દિવસથી મહતમ તાપમાન હજુ એમનેએમ છે. એટલે કે ૨૮ રહ્યા કરે છે ત્યારે હવે બપોરે ધીરે ધીરે ગરમી શરૂ થઇ છે ત્યારે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે જો કે અઠવાડિયાથી તાવ, શરદી, ઉધરસનાં કેસો પણ વઘ્યા છે ત્યારે આગામી દિવસોમાં પણ હજુ મિશ્ર સીઝન રહે તેવી શકયતા છે. શિવરાત્રી એટલે કે લગભગ તા.૧૫ બાદ ઘટાડો થશે.
હાલારના તાલુકા મથકો કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, ભાટીયા, રાવલ, લાલપુર, ફલ્લા સહિતનાં ગામોમાં પણ ધીરે ધીરે ગરમીની શરૂઆત થઇ છે પરંતુ મિશ્રઋતુનાં કારણે રોગચાળો પણ શરૂ થઇ ચુકયો છે. ખાસ કરીને શરદી ઉધરસનાં કેસો વધી રહ્યા છે. જો કે હજુ નિષ્ણાંતો કહે છે એકાદ વખત તો ઠંડીનું રાઉન્ડ આવશે અને ૧૫ ફેબ્રુઆરી બાદ ઠંડી ઓછી થઇ જશે અને ધીરે ધીરે ગરીમીની શરૂઆત થશે.
શિયાળાની ધીમે ધીમે વિદાય થઇ રહી છે હાલ તો પરિસ્થિતિ એવી છે કે બવડી ઋતુનાં કારણે શહેર જિલ્લામાં રોગચાળો વઘ્યો છે. તાવ, શરદી, ઉધરસનાં કેસો વધુ જોવા મળ્યા છે. મહાપાલિકાનાં ૧૨ પીએચસી સેન્ટરમાં ઓપીડીમાં તાવ, શરદી, ઉધરસનાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ ચુકયો છે. કેટલાક દર્દીઓ પાંચ પાંચ દિવસ સુધી તાવમાં ભીડાય છે. ત્યારે તા.૨૦ બાદ હાલારમાં ઋતુફેર થશે તેમ મનાય છે.