21 મી સદીમાં પણ લોકો અંધશ્રદ્ધા માંથી બહાર આવતા નથી ત્યારે અંધશ્રદ્ધા થકી અમુક વ્યક્તિઓ તેનો ગેરલાભ ઉઠાવી પોતાના ફાયદા અને સ્વાર્થ માટે અવનવી ટેકનીક દ્વારા આર્થિક લાભ ઉઠાવતા હોય છે તેવી જ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક ખેતલાઆપા મંદિરમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધારવા માટે મહંતે સોશિયલ મીડિયામાં નાગનું ઘર વાળો વીડિયો વાયરલ કરતા ફોરેસ્ટ વિભાગે રેડ કરી 52 જેટલા આંધળી ચાકળ સર્પ કબજે કરી મહંતની અટકાયત કરી હતી.
સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરતા ભાંડો ફૂટ્યો
રેન્જ ફોરેસ્ટ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ ઉત્તર વિભાગના વિક્રમસિંહ આર પરમાર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ વાઈલ્ડ લાઈફ વોર્ડન એચ.બી.મોકરિયા સહિતની વન વિભાગની ટીમને હકિકત મળી હતી કે ગ્રીનલેન્ડ છોકરી નજીક ખેતલાઆપા મંદિરનો મહંત મનુભાઈ મણીરામ દૂધરેજીયા કે જે મંદિરમાં પૂજા કરે છે તેણે મંદિરની અંદર શુપ્ત કોમન આંધળી ચાકળ સર્પના ૧૦૦થી પણ વધુ નાના-મોટા જીવને કેદ' કરીને રાખ્યા હોય તેઓ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કર્યો હતો.
ફોરેસ્ટ વિભાગની ટીમે મંદિરમાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યું
જેના પગલે રાજકોટ ફોરેસ્ટ વિભાગની ટીમે ખેતલાઆપા મંદિરમાં સરપ્રાઈઝ ચેકીંગ તપાસ કરતાં મંદિરમાંથી આંધળી ચાકળ સર્પના બચ્ચા તેમજ નર અને માદા સર્પ 52 જેટલા મળી આવતા મહંત મનુ મણીરામ દુધરેજીયાને ઝડપી તેની પાસે આટલી મોટી સંખ્યામાં આંધળી ચાકળ કયાંથી આવી તે સહિતના મુદ્દે પૂછપરછ શરૂ કરાઈ હતી.
આંધળી ચાકળનો ઉપયોગ અંધશ્રદ્ધા માટે કરવામાં આવી રહ્યો હતો
પ્રાથમિક તપાસમાં ખુલ્યા પ્રમાણે મહંત દ્વારા આ આંધળી ચાકળનો ઉપયોગ અંધશ્રદ્ધા માટે કરવામાં આવી રહ્યો હતો. અને તે ઘણા લાંબા સમયથી આંધળી ચાકળને કેદ કરીને બેઠો હતો અને સોશિયલ મીડિયામાં આ મંદિરને નાગના ઘર તરીકે પ્રસિદ્ધ કરતો હોવાનું જેથી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ વધે અને પોતાને આર્થિક ફાયદો મળે તે માટે કરતો હોવાનું સામે આવતા વન વિભાગે આરોપી મહંતની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.