સિડની, બેંગલુરુ, માન્ચેસ્ટર, સેન્ચુરિયન, ડર્બન, જોહાનિસબર્ગ, મોહાલી, ઢાકા, એડિલેડ, કોલકાતા, માન્ચેસ્ટર, મેલબોર્ન, અમદાવાદ અને ન્યૂયોર્ક પછી કોલંબો એવું શહેર બન્યું છે કે જ્યાં પાકિસ્તાને ભારત સામે હાર ખમવી પડી છે. બાંગ્લાદેશના સમર્થનમાં ભારત સામે ટી20 વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર કરવાના નાટક પછી,કોલંબોમાં રમવા આવેલી પાકિસ્તાની ટીમ ભારત સામે યોગ્ય સ્પર્ધા કરી શકી નહીં. 176 રનના લક્ષ્યાંકનો સામનો કરતી વખતે, પાકિસ્તાની ટીમ 18 ઓવરમાં ફક્ત 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.એશિયા કપમાં ભારતની જીત બાદ ટ્રોફી લઈને ભાગી ગયેલા પાકિસ્તાની ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસીન નકવી તેમની ટીમની હારની પુષ્ટિ થતાં જ પ્રેમદાસા સ્ટેડિયમ છોડીને ચાલ્યા ગયા હતા જયારે દરમિયાન, આઈસીસી પ્રમુખ જય શાહ, બીસીસીઆઈના અધિકારીઓ અને ભારતીય દર્શકોએ કોલંબોમાં વિજયની ઉજવણી કરી.
આ પીચ પર 176 રન બનાવવાનું સરળ કાર્ય નહોતું. ભારત માટે, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ પ્રથમ ચાર ઓવરમાં માત્ર 25 રનમાં ત્રણ વિકેટ લઈને પાકિસ્તાનને પાછળ છોડી દીધું. પાકિસ્તાનની શરૂઆતની ઓવર સ્પિનર અને કેપ્ટન સલમાન આગાએ ફેંકી હતી, જ્યારે ભારતનો સ્પિનર પાંચમી ઓવર માટે આવ્યો હતો.પાંચમી ઓવરના અંત સુધીમાં, પાકિસ્તાનના ટોચના ચાર બેટ્સમેન - સાહિબઝાદા ફરહાન, સૈમ અયુબ, સલમાન આગ અને બાબર આઝમ - આઉટ થઈ ગયા હતા. ભારતીય બેટિંગની વચ્ચેની ઓવરો સિવાય, પાકિસ્તાની ટીમ ક્યારેય જીતતી દેખાતી ન હતી. તેઓએ 73 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી, જેના કારણે જીત અશક્ય બની ગઈ. કોઈક રીતે, તેમના બેટ્સમેન મેચને 18મી ઓવર સુધી ખેંચવામાં સફળ રહ્યા.