#aajkaal team
ભાવનગરમાં પુત્ર અને માતાએ સગી દીકરીની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. દીકરીએ પ્રેમલગ્ન કરવાની જીદ પકડતા માતા અને પુત્રએ તેને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો. માતાએ દીકરીનું મોઢું દબાવી રાખ્યું અને પુત્રએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં લાશને સગેવગે કરવા મોડી રાત્રે ચેકડેમમાં ફેંકી દીધી હતી.
મળતી માહિતી મુજબ, મૃતક યુવતીનું નામ પારૂલ હતું, જેને સિહોર ખાતે રહેતા વિવેક નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા લગભગ એક વર્ષથી પારૂલ અને વિવેક ઈન્સ્ટાગ્રામ થકી સંપર્કમાં હતા. પારૂલ વિવેક સાથે પ્રેમલગ્ન કરવાની જીદ પકડી હતી. જે પરિવારને મંજુર નહોતું. આથી માતા અને પુત્રે પારૂલની હત્યા કરવા મન માનવી લીધુ હતું અને તેને મોતને ઘાટ ઉતારી હતી.
મૃતક પારૂલને તેની માતા અને ભાઈ દ્વારા અવાર-નવાર સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ યુવતી પોતાની વાત પર અડગ રહી હતી અને પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી. આ મુદ્દે પરિવારમાં સતત ઝઘડાઓ થતા હતા. આખરે, તારીખ ૧૮-૧૦-૨૦૨૫ના રોજ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને માતા દયાબેન સરવૈયા અને ભાઈ પ્રકાશ સરવૈયાએ મળીને પારૂલની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી.
હત્યા કર્યા બાદ પોતાનું પાપ છુપાવવા માટે આરોપી માતા અને પુત્રએ અમાનવીય કૃત્ય આચર્યું હતું. તેમણે મૃતક દીકરીની લાશને પ્લાસ્ટિકના તાડપત્રીમાં વીંટાળી અને નજીકમાં આવેલા ચેકડેમમાં ફેંકી દીધી હતી, જેથી ગુનો છુપાવી શકાય.