જામનગરના લાલબંગલા કોર્ટ બહાર ગઇકાલે વકીલને અગાઉની ફરીયાદ પાછી ખેચવા અને સમાધાન કરવા બાબતે ધમકી આપ્યાની બે શખ્સો અને તપાસમાં જે નામ ખુલે તેની સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે. તો સામા પક્ષે પણ વકીલ વિરુઘ્ધ ધમકી દીધાની ફરીયાદ નોંધાવી છે આમ ફરી એકવાર ચકચારી પ્રકરણમાં મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો છે જયા ગઇકાલની બંને પક્ષની ફરીયાદ અનુસંધાને સીટી-એ ડીવીઝન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગરના હવાઇચોક ભાનુશાળી વાડમાં રહેતા વકિલ પંકજ અરવિંદભાઇ લહે (ઉ.વ.૩૯) ગઇકાલે લાલબંગલા ફાસ્ટટેગ કોર્ટ બિલ્ડીંગની બહાર આવતા હતા ત્યારે ફરીયાદીએ ગત તા. ૨૮-૧-૨૬ના રાત્રીના આરોપીના ભાઇ સામે માથાકુટ અને લુંટ સબંધે ગત તા. ૩૦-૨-૨૬ના રોજ ફરીયાદ કરી હતી જે ફરીયાદ કેમ પાછી ખેચતા નથી, સમાધાન કેમ નથી કરતા તેમ કહીને ફરીયાદી વકીલ સાથે અપશબ્દો બોલી તેમને ધકકો મારી તારૂ મર્ડર કરાવી નાખવુ છે તેવી ધમકી આરોપીઓએ આપી હતી.
આથી વકીલ પંકજભાઇ લહેરૂ દ્વારા ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં ઉપરોકત બનાવ અંગે ફારૂખ હુશેન હદીયા, અલતાફ સતાર આંબલીયા તેમજ તપાસમાં જે ખુલે એ અજાણ્યા સામે જુદી જુદી કલમ મુજબ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
સામા પક્ષે જામનગરના લંઘાવાડના ઢાળીયે શેરીમાં રહેતા ગેરેજનું કામ કરતા ફારૂખ હુશેનભાઇ ઓડીયા (ઉ.વ.૪૯) એ વળતી ફરીયાદ જામનગરના વકીલ પંકજભાઇ એ. લહે વિરૂઘ્ધ સીટી-એ ડીવીઝનમાં જુદી જુદી કલમ મુજબ નોંધાવી હતી.
જેમાં જણાવ્યુ હતું કે, ગઇકાલે લાલબંગલા ફાસ્ટેક કોર્ટ બહાર આરોપીએ ફરીયાદી અને સાહેદને અપશબ્દો કહયા હતા તેમજ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી. બંને પક્ષોની ફરીયાદના આધારે પીએસઆઇ એ.બી. જાડેજા તપાસ ચલાવી રહયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વકિલ દ્વારા સીટી-એ ડીવીઝનમાં ફરીયાદ કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઇ હતી જેમાં રૂપીયાની માંગણી કરી અને માર મારી રૂ. ૧૦ હજારની લુંટ કરવા બાબતે ચાર શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી જે બાબતે સીટી-એ પોલીસ દ્વારા તપાસ સહિતની કાર્યવાહી ચલાવવામાં આવી રહી હતી દરમ્યાનમાં આ ફરીયાદ બાબતનું મનદુ:ખ રાખીને ધાક ધમકીઓ આપવા સબબ ફરી મામલો પોલીસમાં પહોચ્યો છે જયારે બંને પક્ષ દ્વારા સામ સામી ફરીયાદ થતા ચકચાર મચી જવા પામી છે.