નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ક્વાર્ટર માટે કેન્દ્ર સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના અને કિસાન વિકાસ પત્ર જેવી લોકપ્રિય સ્કીમોના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. સોમવારે જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 1 એપ્રિલ 2026 થી 30 જૂન 2026 સુધી રોકાણકારોને અગાઉના ત્રિમાસિક ગાળા મુજબ જ વ્યાજ મળતું રહેશે.
સુરક્ષિત રોકાણ માટે સૌથી લોકપ્રિય ગણાતા PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) પર રોકાણકારોને 7.1 ટકા લેખે વ્યાજ મળવાનું ચાલુ રહેશે. બીજી તરફ પોસ્ટ ઓફિસના સાધારણ સેવિંગ્સ એકાઉન્ટ પર અગાઉની જેમ જ 4 ટકા વ્યાજ આપવામાં આવશે. બજારના ઉતાર-ચઢાવ વચ્ચે સરકારે વ્યાજ દરો સ્થિર રાખીને નિશ્ચિત આવક ધરાવતા રોકાણકારોને મોટી રાહત આપી છે.

દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટેની ખાસ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) હજુ પણ સૌથી વધુ વળતર આપતી યોજનાઓમાંની એક છે, જેના પર 8.2 ટકા વ્યાજ જાળવી રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત:
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC): રોકાણકારોને 7.7 ટકા વ્યાજ મળશે.
3 વર્ષની ટર્મ ડિપોઝિટ: અહીં વ્યાજ દર 7.1 ટકા પર સ્થિર છે.
સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS): વરિષ્ઠ નાગરિકોને તેમની બચત પર 8.2 ટકા વ્યાજ મળતું રહેશે.
કિસાન વિકાસ પત્ર અને માસિક આવક યોજના
ગ્રામીણ વિસ્તારોમાં લોકપ્રિય એવી કિસાન વિકાસ પત્ર (KVP) સ્કીમમાં રોકાણકારોને 7.5 ટકા વ્યાજ મળશે અને તેમનું રોકાણ 115 મહિનામાં મેચ્યોર (બમણું) થશે. જે રોકાણકારો દર મહિને નિયમિત આવક ઈચ્છે છે, તેમના માટે મંથલી ઇનકમ સ્કીમ (MIS) પર 7.4 ટકા લેખે વ્યાજ ચૂકવવામાં આવશે.
નોંધનીય છે કે છેલ્લે નાણાકીય વર્ષ 2023-24માં વ્યાજ દરોમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યા હતા, ત્યારથી છેલ્લા બે વર્ષથી સરકાર વ્યાજ દરોમાં યથાવત સ્થિતિ જાળવી રહી છે. જોકે, વધતી જતી મોંઘવારી વચ્ચે વ્યાજ દરો ન વધતા અમુક રોકાણકારોમાં નિરાશા પણ જોવા મળી રહી છે, પરંતુ મૂડીની સુરક્ષા અને ગેરંટીડ રિટર્નના કારણે આ યોજનાઓ હજુ પણ આકર્ષક છે.