રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક આવેલા મોટી પાનેલી ગામ પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઉપલેટાના સીદસર રોડ પર એસટી બસ અને એક ખાનગી લક્ઝરી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧ વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે ૯ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની આ ઘટના વહેલી સવારના સુમારે બનતા આસપાસના વિસ્તારમાં ભારે હચમચ મચી ગઈ હતી.
ઘટનાની વિગતો મુજબ, જામનગરથી ઉના રૂટ તરફ જઈ રહેલી એસટી બસ અને તુલસી ટ્રાવેલ્સની ખાનગી બસ વચ્ચે આ જોરદાર ટક્કર થઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં ૬૨ વર્ષીય માલતીબેન જોગીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ ૯ જેટલા મુસાફરોને તાત્કાલિક ધોરણે સારવાર માટે ઉપલેટાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ ભયાનક અકસ્માતમાં એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. તેમની તબિયત નાજુક જણાતા પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંનેને વધુ અને સઘન સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે. વહેલી સવારે બનેલી આ દુર્ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરી વધુ તપાસ હાથ ધરી છે.