દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા નિયંત્રણ માટે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી

  • April 26, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સર્વેલન્સની કામગીરીમાં સહકાર આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ



દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણી ભરાવાથી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહીત રોગચાળો ફેલાવાની સંભાવના રહેલી હોય છે ત્યારે આવા સાયે જિલ્લામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો ફેલાય તેની તકેદારીના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચોમાસા પૂર્વ તેમજ તે સમય દરમિયાન અને  પછીના સમયમા પણ જિલ્લામાં રોગચાળો ના ફેલાઇ તેવા ઉદેશ્યથી જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આ રોગચાળાના નિયંત્રણ માટે તા.૨૨ એપ્રિલ થી ૩૦ એપ્રિલ સુધી જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરીનું તેમજ તા.૨૫ એપ્રિલ ૨૦૨૪ ના રોજ “વર્લ્ડ મેલેરીયા ડે ની વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૪ માટે નક્કી કરવામાં આવેલ થીમ "Accelerating the fight against Malaria for a more equitable world (વધુ સમાન વિશ્વ માટે મેલેરીયા સામેની લડાઇને વધુ વેગ આપીએ)" મુજબ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે.


હાઉસ ટુ હાઉસ કામગીરી માટે આરોગ્ય વિભાગની ૨૮૯ ટીમો જોડાઈ છે, જેમના દ્વારા દ્વારા નવ દિવસમાં અંદાજીત ૧.૫ લાખ ઘરોની મુલાકાત કરી પોરાનાશક કામગીરી કરવામાં આવશે. સર્વેના પ્રથમ બે દિવસોના અંતે આ ટીમો દ્વારા ૨૯,૬૫૫ ઘરોની તપાસ દરમિયાન કુલ ૧,૫૧,૭૦૨ પાત્રોની તપાસ કરવામાં આવેલી હતી, જે પૈકી ૫૩૫ પાત્રોમાં મચ્છરોના પોરા જોવા મળેલા  હતા જે દરેક પાત્રોમા જંતુનાશક દવા દ્વારા પોરાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ કુલ ૯૯૧ તાવના કેસ શોધવામાં આવ્યા હતા જે તમામ કેસના સેમ્પલ લઇ ટેસ્ટિંગ અર્થે મોકલવામાં આવ્યા હતા. સળંગ ૯ દિવસ ચાલનારી આ કામગીરીમાં આરોગ્યની ટીમો દ્વારા વાહકજન્ય રોગોના શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂના લેવામાં આવશે, મકાનોમાં પાણી ભરાતું હોય તેવી જગ્યા પર દવાનો છંટકાવ કરાશે, ઉપરાંત મચ્છરના બ્રીડિંગ મળે તેવા પાત્રોમા પોરાનાશક દવાનો પણ છંટકાવ કરવામાં આવશે તેમજ મેલેરિયા કે ડેન્ગ્યુના કેસ જોવા મળે તેવા વિસ્તાર, ગામ કે ઘરમા કોગીંગ થકી પણ દવા છંટકાવ કરવામાં આવશે.

રોગચાળો અટકાવવા માટે ઘર કે કાર્યસ્થળની આજુ-બાજુ પાણી સંગ્રહ કરવાના પાત્રો હવાચુસ્ત રીતે બંધ રાખવા, ફ્રીઝ,એ.સી.અને કુલરની ટ્રે તેમજ છોડના કુંડા, પક્ષીઓને પીવાના પાણીના કુંડા દર ત્રણ દિવસે સાફ કરવા, અગાસી અને છજામાં વરસાદી પાણી ન ભરાય તેની તકેદારી રાખવી, સિમેન્ટની ટાંકી, સીડી નીચે આવેલા ટાંકા, બેરલ,પીપ વગેરેને ઢાંકીને રાખવા તેમજ ટાયર, ડબ્બા, વેગેરે ભંગારનો નિકાલ કરવો, સંધ્યા સમયે ઘરના બારી દરવાજા બંધ રાખવા, મચ્છરદાનીનો નિયમિત ઉપયોગ કરવો, પૂરું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, ઘરમાં લીમડાનો ધુમાડો તેમજ મચ્છર વિરોધી અગરબત્તી અને ઓડોમોસ ક્રીમનો ઉપયોગ કરવો, પાણીના જે સ્ત્રોતોને ઢાંકી શકાય તેમ ન હોય તેમાં પોરાભક્ષક ગપ્પી માછલી મુકાવવી, જો કોઈ વ્યક્તિને તાવ આવતો હોય તો ફીવર હેલ્પલાઇન નંબર ૧૦૪ માં સંપર્ક  કરી અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી લોહીની તપાસ કરાવવી તેમજ રોગ અટકાયત કામગીરી માટે આવતા આરોગ્ય કર્મચારીઓ તથા આશા બહેનોને જરૂરી સાથ સહકાર આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જનસમુદાયને અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application