શહેરના નાગેશ્ર્વર વિસ્તારમાં રહેતા એક યુવાનનું બે્રઇન ડેડ થઇ જતાં તેની બે કીડની અને ત્રણ અંગોનો દાન કરવાનો નિર્ણય પરીવાર દ્વારા કરવામાં આવ્યો હતો અને આ માટે વહિવટી તંત્રનો સહકાર લઇને ટ્રાફિકની ગ્રીન કોરીડોર અને જામનગર એરપોર્ટ ઓથોરીટીએ ચાર્ટડ પ્લેનને તત્કાલ આવાગમનની સુવિધા કરી આપી હતી. જી.જી.હોસ્પિટલથી લઇને નિકળેલી ડોકટર અને ટેકનીશનની ટીમ અમદાવાદ રવાના થઇ હતી. જામનગરના એક યુવાનને આજે સવારે જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇન ડેડ જાહેર કર્યા પછી તેમના અંગોનું દાન કરાવ્યું હતું અને ખાસ કોરિડોરની વ્યવસ્થા પછી વિમાન માર્ગે સાંજે તેમના અંગોને અમદાવાદ મોકલવામાં આવ્યા હતાં.
જામનગરમાં રહેતા મુકેશ બાંભણિયા નામના ૪૦ વર્ષના યુવાનની મગજની લોહીની નસ તૂટી હતી અને મગજમાં સોજો આવી ગયો હતો. તબીબો એ તેમની સારવાર માટે અથાગ પ્રયત્નો કર્યા હતાં. પરંતુ જી જી. હોસ્પિટલ માં સારવાર દરમ્યાન ગઇકાલે સવારે તેઓને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતાં. આ પછી તેમના પરિવારને અંગદાન અંગેની સમજણ આપવામાં આવી હતી.
જેમાં તેમનો પરિવાર સહમત તથા રાજ્ય સરકારની એનજીઓની એક તબીબી ટુકડી અમદાવાદથી બપોરે જામનગર આવી પહોંચી હતી અને જી.જી.હોસ્પિટલમાં બ્રેઇન ડેડ યુવાન ઉપર ઓપરેશન કરીને તેમની એક કિડની અને એક લીવરને ઓપરેશન કરીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં અને સાંજે વિમાન માર્ગે આ બંને અંગોને સલામત રીતે અમદાવાદ મોકલવામાં આવ્યા હતાં.
આ માટે પોલીસ દ્વારા જી.જી. હોસ્પિટલથી એરપોર્ટ સુધી ખાસ કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રુટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જી.જી. હોસ્પિટલથી આ બંને અંગો સાથે ખાસ એમ્બ્યુલન્સને એરપોર્ટ સુધી દોડવાઈ હતી. આ સમગ્ર કાર્યવાહીમાં જામનગરની જી.જી.હોસ્પિટલના તબીબી સુપ્રી. ડો.દીપક તિવારીના માર્ગદર્શનમાં એનેસ્થેશિયા અને ન્યૂરો સર્જરી વિભાગના ડો.ભૌમિક, ડો.પવન વસોયા અને સમગ્ર ટીમે પણ ભારે જહેમત ઉઠાવી હતી.