BREAKING NEWS

સૌરાષ્ટ્રવાળા અહીં ઘણાં છે, માવો આવ્યો કે નહીં?: PM મોદીની 'ભારત માતા કી જય' સાથે માવાથી મુક્તિની ટકોર

  • September 08, 2026 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારી ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત 'નમો કમલમ' કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે આયોજિત સંમેલનમાં તેમણે પાર્ટીના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. સંપૂર્ણપણે દેશી અને ગુજરાતી અંદાજમાં આપેલા પોતાના પ્રભાવશાળી સંબોધનમાં પીએમ મોદીએ સૌરાષ્ટ્રના લોકોમાં જોવા મળતી પાન-મસાલા અને માવા ખાવાની ટેવ પર હળવો કટાક્ષ કર્યો હતો. તેમણે સભામાં હાજર કાર્યકરોને પૂછ્યું હતું કે, "સૌરાષ્ટ્રવાળા અહીં ઘણાં છે, માવા આવ્યા કે નહીં?" વડાપ્રધાનના આ હળવા અંદાજથી આખા મંડપમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સ્વચ્છતા અને આરોગ્યનો સંદેશ આપતાં માવાની કુટેવમાંથી મુક્તિ મેળવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, એક બાજુ આપણે 'ભારત માતા કી જય'ના નારા લગાવીએ અને બીજી જ ક્ષણે મસાલો ખાઈને ગંદકીની પિચકારી મારીએ તે યોગ્ય નથી. દેશવાસીઓએ અને કાર્યકરોએ આવી અસ્વસ્થ આદતોથી દૂર રહેવું જોઈએ. આ સાથે જ તેમણે ભાજપના સંસ્કારોનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું કે ભાજપના કાર્યકર માટે પદ, સત્તા કે પ્રતિષ્ઠાનો અર્થ કેવળ 'સેવા' છે. 'નમો કમલમ' કાર્યાલય એ માત્ર ઈંટ-પથ્થરનું મકાન નથી પરંતુ સામાન્ય અને દુઃખી લોકોના પ્રશ્નો ઉકેલવાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનવું જોઈએ.

વડાપ્રધાને નાના વેપારીઓ અને લારી-ગલ્લા ધારકો માટેની ‘પીએમ સ્વનિધિ યોજના’ના સફળ અમલીકરણ અંગે વિશેષ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ યોજનાએ શ્રમજીવીઓ અને લારીવાળાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આણ્યું છે. સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિનમ્રતાપૂર્વક છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કાર્યકરોએ સમર્પિત ભાવે કામ કરવું જોઈએ. નાના વેપારીઓને આત્મનિર્ભર બનાવી તેમના જીવનધોરણને ઊંચું લાવવું એ જ આપણી પ્રાથમિકતા છે.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે નવસારીના શ્રમજીવીઓ માટે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નવસારીના લારીવાળાઓને 700 જેટલી નવી સ્ટીલની લારીઓ એનાયત કરવામાં આવશે, તેમજ પીએમ સ્વનિધિ યોજના હેઠળ તેમને બેંક લોનનો સીધો લાભ મળશે. પ્રદેશ નેતા જગદીશ વિશ્વકર્માએ નવા કાર્યાલયને કાર્યકરોના અથાક પરિશ્રમનું પ્રતિક ગણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતે 7.8 ટકાનો મજબૂત વિકાસ દર હાસિલ કર્યો છે. નવસારીનું આ નવું કાર્યાલય આગામી સમયમાં જનસેવા અને સંગઠનની પ્રવૃત્તિઓનું મુખ્ય ધામ બની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application