શહેરના બિગ બજાર નજીક બી-ટુ ફેમિલિ સ્પામાં મસાજના ઓઠા હેઠળ ધમધમતા કુટણખાના પર એએચટીયુની ટીમે દરોડો પાડી અહીંથી યુપી અને નેપાળની લલનાઓને મુક્ત કરાવી હતી. સ્પા સંચાલક બરસાબેન ઝા અને રિસેપ્શનિષ્ટ પ્રિન્સરાજ તિવારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમો દેહ વેપારના ગોરખધંધાનો પર્દાફાશ કરવા પ્રયત્નશીલ હતી. દરમિયાન પીઆઇ બી.બી. જાડેજા અને પીએસઆઇ આર.કે. ગોહિલની ટીમને હકીકત મળી હતી કે, બિગ બજાર ચોક નજીક પાનવાલા દુકાનની ઉપર પહેલા માળે આવેલ બી 2 ફેમિલિ સ્પામા બહારથી યુવતીઓ બોલાવી મસાજના નામે દેહવિક્યનું કારસ્તાન ચલાવવામાં આવે છે. જે હકીકત પોલીસે વેરીફાઈ કરાવતા ખરી નીકળતા એએચટીયુની ટીમ દ્વારા ડમી ગ્રાહક મોકલી દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં સ્પાના રૂમમાંથી ગણિકા અને ગ્રાહક વાંધાજનક સ્થિતિમાં મળ્યા હતા. જેથી પોલીસે દેહ વેપારનું દુષણ ચલાવતી સ્પા સંચાલિકા બરસાબેન કનૈયા ઝા (ઉવ 32) અને રિસેપ્શનિષ્ટ પ્રિન્સરાજ અમિત તિવારી (ઉવ 21 બંને રહે. મેટોડા, રાજકોટ)ની ધરપકડ કરી તાલુકા પોલીસ મથકમાં ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
પોલીસની તપાસમાં બંને શખસો ગ્રાહકોને સ્પા ખાતે બોલાવી એન્ટ્રી ફી તરીકે 1000 રૂપિયા તેમજ શરીર સંબંધ બાંધવા પેટે રૂ.3 ,000 વસૂલતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અહીંથી યુપી અને નેપાળની બે ગણીકાઓને મુક્ત કરાવી હતી. પોલીસની તપાસમાં છેલ્લા એક મહિનાથી અહીં સ્પાના ઓઠા હેઠળ દેહવેપારનું દુષણ ચાલતુ હોવાનું સામે આવ્યું હતું.
આ કામગીરી એએચટીયુ શાખાના પીઆઈ બી.બી. જાડેજા, પીએસઆઈ આર કે ગોહિલ, એએસઆઈ અજયકુમાર શુક્લા, સલીમભાઈ મકરાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ મારૂ, હરસુખભાઈ વાછાણી, કોન્સ્ટેબલ હસમુખભાઈ બાલધા, મહેશ ગણેશપ્રસાદ, જ્યોતિબેન બાબરીયા દ્વારા કરવામાં આવી હતી.