વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટના પંજાબી શાકથી એક જ પરિવારના ૫ સભ્યોને ફૂડ પોઈઝનિંગ થવાની અને ૫ વર્ષની બાળકી આર્યાના મોતના કિસ્સાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધો છે. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચના બાદ તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રેસ્ટોરન્ટ સીલ કરવા અને પીએમ રિપોર્ટ બાદ કાર્યવાહીના નિર્દેશ
આરોગ્ય મંત્રીશ્રીએ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ અને SMCના અધિકારી ડો. ઉમરીગર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને ઘટનાની વિગતવાર માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ બનાવ માટે જવાબદાર 'શીતલ રેસ્ટોરન્ટ'ને તત્કાલ સીલ કરવાની તેમજ બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ કાનૂની કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
મંત્રીએ પરિવારને પાઠવી સાંત્વના, સારવાર પર સીધી નજર
આરોગ્ય મંત્રીશ્રીએ મૃતક બાળકીના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી ઊંડી સંવેદના વ્યક્ત કરી સાંત્વના પાઠવી હતી. આ સાથે જ સદવિચાર હોસ્પિટલ, પુણાગામ ખાતે સારવાર હેઠળ રહેલા પરિવારના અન્ય ચાર સભ્યોને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તે માટે તબીબો સાથે સીધો સંપર્ક જાળવી રાખ્યો છે.
રાજ્યભરની રેસ્ટોરન્ટ્સ અને હોસ્પિટલો માટે કડક આદેશ
આ દુઃખદ ઘટનાને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રીશ્રીએ રાજ્યની તમામ રેસ્ટોરન્ટોમાં સ્વચ્છતા, હાઈજિન અને ફૂડ સેફ્ટી અંગે કોઈ પણ પ્રકારની બેદરકારી ન દાખવવા કડક આદેશો જાહેર કર્યા છે. તદુપરાંત, રાજ્યની હોસ્પિટલોમાં પણ દર્દીઓની સલામતી અને સ્વચ્છતા બાબતે કોઈ ચૂક ન રહે તે અંગે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.