રાજકોટમાં સ્પા મસાજમાં સ્થાનિક તેમજ અન્ય રાજ્યમાંથી જરૂરીયાતમંદ યુવતીઓ અને મહિલાને બોલાવી સ્પા મસાજના વ્યવસાયની આડમાં દેહવિક્રયનો ગોરખધંધો મોટા પ્રમાણમાં કુટણખાનાનો કાળો કારોબાર ધમધમતો હોવાનું ક્રાઈમના યુવા ડીસીપીના ધ્યાને આવતા એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટને આ બદીને ડામી દેવા કરેલા આદેશના પગલે રાજકોટના માલવિયા ચોક નજીક પ્રમુખસ્વામી આર્કેડમાં હાઈ ડ્રીમ વેલનેસ સ્પામાં રેડ કરી દેહવિક્રયના ગોરખધંધાનો પર્દાફાશ કરી સ્પાના સંચાલક અને ટેલી કોલર સામે ગુનો દાખલ કરી આઠ યુવતીઓને મુક્ત કરાવી હતી.
સ્પાના સંચાલક અને ટેલી કોલરની ધરપકડ
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, રાજકોટ શહેરના ડીસીપી ક્રાઈમ, જગદીશ બાંગરવાની સુચનાથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ બી એમ ઝણકાટની સૂચનાથી પીએસઆઇ એકે ગૌસ્વામી, હેડ કોન્સ. હરસુખભાઈ વાછાણી, મહમદ આરીફ અન્સારી, હસમુખ બાલધા, ભૂમિકાબેન ઠાકર,જ્યોતિબેન બાબરીયા સહિતની ટીમે પ્રમુખસ્વામી આર્કેડમાં બીજા માળે હાઈ ડ્રીમ વેલનેસ સ્પામાં ચેકિંગ કરતાં સ્પામાં કુટણખાનું ચાલતું હોવાના પુરાવા મળી આવતા સ્પાના સંચાલક અને ટેલી કોલરને ઝડપી લેવામાં આવ્યા હતા.
22300નો મુદ્દામાલ કબજે કર્યો
આ ઉપરાંત સ્પાનું ચેકિંગ કરતા એક રૂમમાંથી આઠ જેટલી યુવતીઓ મળી આવી હતી. જેની પૂછપરછમાં મહારાષ્ટ્ર રાજ્યની બે, દિલ્હીની એક, એમપીની એક, ઉત્તર પ્રદેશની એક અને ગુજરાતની ત્રણ યુવતીઓ મળી આવતા તેઓને મુક્ત કરવામાં આવી હતી. તેમજ સંચાલક અને ટેલીકોલર ગ્રાહક પાસેથી એન્ટ્રીના 1000 રૂપિયા શરીરસુખ ભોગવવાના અલગથી નાણા વસુલી તેમાંથી રૂપિયા ભોગ બનનાર યુવતીને 1000 આપતા હોવાનું જણાવતા ૩ મોબાઇલ તેમજ રોકડ સહિત કુલ 22300નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પોલીસે સંચાલક જયંતીભાઈ ગોવાભાઇ વાઘેલા (ઉમર 32 રહે રામેશ્વર પ્લોટ ભાણવડ દેવભૂમિ દ્વારકા) અને પરીથીવી રામસિંગ (ઉમર 28 રહે ચંદ્રલોક એપાર્ટમેન્ટ કાલાવડ રોડ રાજકોટ વાળા)ની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની કામગીરીમાં પીઆઇ બી એમ ઝણકાટ, પીએસઆઇ એ કે ગૌસ્વામી, જીગ્નેશ મારુ, હરસુખભાઈ વાછાણી, હસમુખભાઈ બાલધા, મહેશ ગણેશપ્રસાદ, જ્યોતિબેન બાબરીયા, ભૂમિકાબેન ઠાકર તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટી ટીમ જોડાઈ હતી.