રાજકોટના જંગલેશ્વર મેગા ડીમોલેશનની શરૂઆત પોલીસના સૌથી મોટા બંદોબસ્ત વચ્ચે થઈ હતી અને ગઈકાલ સુધીમાં ૧૫૦૦ થી વધું ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવાયું બાદ કોર્પોરેશન તેમજ પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો આ ડીમોલીશનની કામગીરી તમામ પૂર્ણ થતાં બંદોબસ્તમાં શહેર પોલીસ સિવાય બહારથી આવેલ પોલીસને બંદોબસ્ત વિસર્જન કરી કાલ સાંજે જ છૂટી કરી દેવાઈ હતી, જ્યારે એસઆરપી ટીમોને પણ સાંજ સુધીમાં છૂટી કરી દેવામાં આવનાર છે ,પરંતુ કાટમાળ હટશે નહિ ત્યાં સુધી સ્થાનીક પોલીસ બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના સંવેદનશીલ વિસ્તાર જંગલેશ્વરમાં ગુનેગારો સહિત અનેક લોકોએ સરકારી જગ્યા પર સૌથી મોટું દબાણ કરી ઓરડીઓ અને પાકા મકાનો બનાવી નાંખ્યા હતાં. જે બાદ રાજકોટ કોર્પોરેશને મોટો ટીપી રોડ બનાવવા આ જગ્યા ખુલ્લી કરવા માટે ત્યાં થયેલ લગભગ ૧૫૦૦ થી વધુ ઓરડીઓ, મકાનો, દુકાનોનું ડીમોલેશન કરવા માટેની તૈયારીઓ આરંભી દીધી હતી, જે તૈયારીમાં સૌથી મહત્વનો ભાગ શહેર પોલીસની ટીમે ભજવ્યો હતો.
જેમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની રાહબરીમાં છેલ્લા એક મહિનાથી તૈયારીઓનો ધમધમાટ પણ ચાલી રહ્યો હતો. ગઈ તા. 23 થી શરૂ થયેલ સૌથી મોટા જંગલેશ્વર ડિમોલેશનમાં બંદોબસ્ત માટે શહેર બહારથી પણ પોલીસ બોલાવવામાં આવી હતી, જેમાં રાજકોટ ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા સહિતની પોલીસનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત એસઆરપીની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. ત્યારે કોર્પોરેશને આજે ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ થયા કર્યાની જાહેરાત કરી હતી. તે પહેલા જ ગઈકાલે રાતે જ જે રાજકોટ શહેર બહારથી આવેલી પોલીસને છૂટી કરી દેવામાં આવી હતી તેમજ એસઆરપીની ટીમોને પણ આજે સાંજ સુધીમાં છૂટી કરી દેવામાં આવશે,જ્યારે હાલ ડિમોલેશન બાદ ત્યાં રહેલ કાટમાળ જ્યાં સુધી હટે નહીં ત્યાં સુધી સ્થાનિક પોલીસનો બંદોબસ્ત અવિરત રહેશે.
કાટમાળ લેવાં ભંગારીયા દોડતા થતા બેરીકેટ લગાવાયા
જંગલેશ્વરમાં ડીમોલેશન બાદ મકાનો, ઓરડીઓ અને દુકાનો કાટમાળમાં ફેરવાઈ જતા કાટમાળમાં લોખંડ, પ્લાસ્ટિક તેમજ અન્ય કીમતી વસ્તુઓ જે કાટમાળમાં પડી હતી તે ત્યાં નજીકમાં રહેતા સ્થાનિકો તેમજ ભંગાર વીણતા લોકો દોડતા થયા હોય જેથી પોલીસ તંત્ર અને આરએમસી તંત્રએ તુરંત જ બેરીગેટ લગાવી પ્રવેશબંધી જાહેર કરી હતી.