ગુજરાતી સિનેમા અને સંગીત ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર યુવા ગાયક જિગરદાન ગઢવીએ તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. 'વ્હાલમ આવો ને' અને 'ચાંદ ને કહો' જેવા સુપરહિટ ગીતો આપનાર જિગરાએ ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ જાહેરાત કરી છે. આથી તેના લાખો ચાહકોને આંચકો લાગ્યો છે.
જિગરદાને પોસ્ટમાં શું લખ્યું છે?
રામ રામ સૌને,
આપ સૌને રામ નવમીની મંગલમય
શુભેચ્છાઓ.
આશા છે કે તમે સૌ મજામાં હશો.
હું અહીં આ માધ્યમથી જાહેર કરું છું કે હવે
પછી હું ગુજરાતી ફિલ્મો માટેના પ્લેબેક
ગાયન તેમજ તમામ ગુજરાતી લેબલ્સ/
યુટ્યુબ ચેનલ્સના મુઝિક પ્રોજેક્ટ્સમાંથી
નિવૃત્તિ લઈ રહ્યો છું. છેલ્લા 10 વર્ષની
આ સફર અદભૂત રહી છે. આપ સૌએ
આપેલા પ્રેમ અને સપોર્ટ માટે દિલથી
આભાર.
- જીગરા
જિગરદાન ગઢવીના અવાજના દિવાના એવા યુવાનોમાં થોડી નિરાશા પણ છે કે હવે લાંબા સમય સુધી તેમના નવા ગીતો સાંભળવા નહીં મળે. આ અચાનક આવેલી જાહેરાતથી જીગરાના ચાહકો આઘાતમાં છે. પોસ્ટની નીચે આદિત્ય ગઢવી, મલ્હાર ઠાકર અને સિદ્ધાર્થ અમિત ભાવસાર જેવા જાણીતા કલાકારોએ પણ પ્રતિક્રિયા આપી છે. ઘણા ચાહકો કોમેન્ટ સેક્શનમાં દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કેટલાક આ નિર્ણય પાછળનું કારણ જાણવા ઉત્સુક છે. નિવૃતિનું ચોક્કસ કારણ તો હજુ સિંગરે નથી જણાવ્યું, પણ છ દિવસ પહેલાની પોસ્ટ પરથી લાગી રહ્યું છે કે બોલિવૂડમાં ડગ ભરવા માટે તેને ગુજરાતી ઈન્ડસ્ટ્રીઝ છોડી હોય.
લવની ભવાઈ ફિલ્મનું વ્હાલમ આવો ને.. ગીત જિગરદાન ગઢવીની કરિયરનું સૌથી મોટું હિટ ગીત માનવામાં આવે છે. ચાંદ ને કહો... ફિલ્મ 'ચાલ જીવી લઈએ'નું આ રોમેન્ટિક ગીત આજે પણ લોકોનું ફેવરિટ છે. મોગલ તારો આશરો.. ભક્તિ સંગીતમાં આ ગીતે યુટ્યુબ પર મિલિયન્સમાં વ્યુઝ મેળવ્યા છે. મને કહી દે... ફિલ્મ 'કરસનદાસ પે એન્ડ યુઝ'નું આ ગીત ખૂબ જ સુંદર રીતે જિગરદાન ગઢવીએ ગાયેલું છે.
જિગરદાન ગઢવી માત્ર ફિલ્મી ગીતો પૂરતા સીમિત નથી, તેમણે ઘણા સિંગલ્સ અને આલ્બમ્સ પણ આપ્યા છે. જેમાં ગોકુળની રમઝટમાં ગરબાના શોખીનોમાં આ આલ્બમ ખૂબ જાણીતું છે.
વૃંદાવનમાં કૃષ્ણ ભક્તિ અને ગરબાનું સુંદર ફ્યુઝન આપ્યું છે. હૂં તારી હીર, આ આલ્બમ પણ સંગીતપ્રેમીઓમાં ખૂબ ચર્ચાયું હતું.