જામનગરમાં ગઇકાલે એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, માત્ર એક ઇંચ વરસાદમાં જામનગરમાં અનેક વિસ્તારોમાં વિજ પુરવઠો ઠપ્પ થયો હતો, રહેવાસીઓમાં નારાજગી જોવા મળી હતી, ખાસ કરીને રણજીતસાગર રોડ પર સાંજથી જ મોડી રાત સુધી વિજ પુરવઠો ખોરવાઇ ગયો હતો, રહેવાસીઓ તેમજ કેન્સર પીડીત દર્દીઓ, મહીલાઓ સહિતનાઓ નગરસીમ વિજ કચેરીએ ઉગ્ર આક્રોશ સાથે નારાજગી દેખાડી હતી અને પીજીવીસીએલ સામે વિરોધ દર્શાવ્યો હતો.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા નગરસીમ વિસ્તારમાં ગઈકાલે બપોર બાદથી વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને રાત્રી સુધી પૂર્વવત નહીં બનતાં સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા હતાં. કેટલાક કેન્સર પિડીત દર્દીઓ તથા મહિલાઓ અને બાળકો સાથેનું ટોળું ગઈકાલે રાત્રિના સમયે નગરસિમ વિસ્તારની પી.જી.વી.સી.એલ. ની કચેરીએ પહોંચી જઈને ઉગ્ર રજૂઆત કરી હતી.
નગરસીમ વિસ્તારમાં વારંવારના વિજ ધાંધિયાથી સ્થાનિક રહેવાસીઓ પરેશાન થયા છે. ત્યારે ગઈકાલે માત્ર એક ઇંચ વરસાદ પડતાની સાથે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને કલાકો સુધી પૂર્વવત નહીં થતાં સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને વિજતંત્રની ટુકડીને રાત્રિભર દોડધામ થઈ હતી.