સોમનાથ સ્વાભિમાન પર્વ, અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષ નિમિત્તે સોમનાથમાં આજ તા.૮ થી તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૬ સુધી સ્વાભિમાન પર્વની શ્રદ્ધાભેર ઉજવણીનો પ્રારંભ થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૦-૧૧ જાન્યુઆરીના રોજ સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેશે. ત્યારે શિવનગરીએ સોળે શણગાર સજ્યા છે. રંગબેરંગી રોશની, દીવાલો પર અદભૂત ચિત્રો અને રસ્તાઓ પર લાઈટિંગથી સોમનાથ ઝળહળી ઉઠ્યું છે. જાણે ધરતી પર સ્વર્ગ ઉતર્યું હોય તેવો નજારો સોમનાથમાં જોવા મળી રહ્યો છે. ભક્તિ સાથે મનોરંજનનો અદભૂત સંગમ જોવા મળી રહ્યો છે.

સોમનાથ સ્વાભિમાન પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર સોમનાથ વિસ્તારમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે વિવિધ વ્યવસ્થા અને લોકો માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વિવિધ વિભાગના સચિવ અને તેમજ પ્રશાસનના અધિકારીઓ દ્વારા સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે વિવિધ ટીમો બનાવીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

તા.7 જાન્યુઆરી-૨૦૨૬ના રોજ રાત્રે સોમનાથના વિવિધ માર્ગો ખૂબ જ સુંદર રીતે રોશની અને આધ્યાત્મિક ચેતનાના પ્રતિકો સાથે શણગારવામાં આવ્યા હતા. ત્રિવેણી રોડ, હમીરસિંહ સર્કલ, શંખ સર્કલ, ભીડીયા પાટણ રોડ તેમજ સર્કિટ હાઉસ રોડ અને સોમનાથ મંદિર વિસ્તાર માર્ગ સુશોભન, રોશની, શિવ આરાધના ના ચિત્રો, ધજાઓ, રોડ પર શિવજીની મૂર્તિઓ સહિત વિવિધ તૈયારીઓથી સમગ્ર સોમનાથ સજજ થયું છે.

સમગ્ર ગુજરાતમાંથી શિવ ભક્તો ટ્રેન અને બસ મારફતે સોમનાથ આવી રહ્યા છે ત્યારે ત્રણ દિવસના અખંડ ઓમકાર મંત્રોચ્ચારથી સોમનાથનું વાતાવરણ અલૌકિક અનુભૂતિ સાથે દિવ્યમય બન્યું છે. ૧૦૨૬ થી ૨૦૨૬ સંઘર્ષ, શોર્યતા, વીરતા, સ્વાભિમાન અને અતૂટ શ્રદ્ધાના ૧૦૦૦ વર્ષ સાથે સ્વાભિમાન પર્વનો આ સંદેશ નવી પેઢીમાં ભારતની શાશ્વત સનાતન સંસ્કૃતિની ગાથાને આત્મસાત કરવાની પ્રેરણા આપે છે.

