કચ્છના સામખિયાળીમાં ખાનગી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આથી અંદર બેઠેલા મુસાફરોના પેટમાં અચાનક ફાળ પડી હતી અને તમામના જીવ તાળવે ચોટી ગયા હતા. જોકે તમામ મુસાફરોનો બચાવ થયો છે. કોઈ જાનહાનિ ન સર્જાતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
બસમાં 20થી વધુ મુસાફરો સવાર હતા
મળતી માહિતી મુજબ, સામખિયાળી-માળિયા હાઈવે પર ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાની સાથે મુસાફરો જીવ બચાવવા દોડયા હતા, સ્થાનિકોની મદદથી તમામ મુસાફરોને બચાવ્યા છે અને રાજ પેલેસ હોટલ પાસે આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે, આગ લાગતા બસ બળીને ખાખ થઈ છે, મહત્વનું છે કે ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
બસમાં આગ લાગવાનું કારણ અકબંધ
મુસાફરો ભરેલી બસ જઈ રહી હતી અને અચાનક આગ લાગી હતી, તો ફાયર વિભાગનું અનુમાન છે કે, શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોઈ શકે છે, બસમાં મુસાફરો હતા તે બહાર નિકળી ગયા હતા. ઘણી વાર વાહનોમાં એટલે આગ લાગતી હોય છે કે બસ અને કારમાં વાયરો જુના હોવાથી અને બેટરીમાં સમસ્યા હોવાથી સ્પાર્ક થતો હોય છે અને તેના કારણે આગ લાગવાની ઘટના બનતી હોય છે. લાંબા રૂટ પર લાંબા સમય સુધી વાહન ચલાવવાના કારણે ટાયર અને રોડ વચ્ચેના ઘર્ષણને કારણે આગ પણ લાગતી હોય છે. આવી ઘટનાઓ મોટા ભાગે હાઈવે પર જોવા મળતી હોય છે.