જામનગર-લાખાબાવળ ટ્રેક પર આવતીકાલે 120 કિમી/કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ; રેલવેની ટ્રાયલ દરમિયાન ટ્રેકથી દૂર રહેવા અપીલ
પશ્ચિમ રેલવે દ્વારા રેલ સુરક્ષા અને સંચાલન ક્ષમતાને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભરતા, રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત જામનગર-લાખાબાવળ (10 કિમી) સેક્શન વચ્ચે નવનિર્મિત અપ મેઈન લાઈન અને ડાઉન મેઈન લાઈનનું સુરક્ષા નિરીક્ષણ 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ રેલ સેફ્ટી કમિશનર (Commissioner of Railway Safety) દ્વારા કરવામાં આવશે.
નિરીક્ષણ દરમિયાન નવી રેલ લાઈનોની સુરક્ષા, સ્થિરતા અને ટેકનિકલ માપદંડોની ચકાસણી કરવા માટે બંને અપ અને ડાઉન લાઈનો પર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ લેવામાં આવશે. નવી લાઈન પર સુરક્ષિત અને ઝડપી ટ્રેન સંચાલન સુનિશ્ચિત કરવા માટે આ પરીક્ષણ એક મહત્વપૂર્ણ તબક્કો છે.
રેલવે પ્રશાસને તમામ સંબંધિતો અને સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે ટ્રાયલ રન દરમિયાન રેલવે ટ્રેકથી સુરક્ષિત અંતર જાળવી રાખે અને ટ્રેકની આસપાસ કોઈપણ પ્રકારની અવરજવર ટાળે. આ સમય દરમિયાન રેલવે ટ્રેક ઓળંગવો અથવા તેની નજીક જવું અત્યંત જોખમી અને જીવલેણ સાબિત થઈ શકે છે.
સુરક્ષા નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, આ સેક્શનમાં બંને લાઈનો પર 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નિયમિત રેલ સેવાઓ શરૂ થવાની શક્યતા છે. જેનાથી રેલ સંચાલન વધુ સરળ, સુરક્ષિત અને અસરકારક બનશે અને મુસાફરોને બહેતર મુસાફરીનો અનુભવ પ્રાપ્ત થશે.
રેલવે પ્રશાસને જાહેર જનતાને સુરક્ષા નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત રેલ સંચાલનમાં સહયોગ આપવા અપીલ કરી છે...