હીરાનગરી સુરતમાં એક સિક્યોરિટી ઓફિસમાં આવેલા અનામી ફોન કોલે પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું. જાણીતા હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાની કંપની એસઆરકે પાસે અચાનક પચ્ચીસ લાખ રૂપિયાની મોટી રકમની ખંડણી માંગવામાં આવી હતી. આ ધમકીભર્યો ફોન કંપનીની સિક્યોરિટી ઓફિસમાં આવ્યો હતો, જેમાં રૂપિયા ન આપવાની સ્થિતિમાં ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કતારગામ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે ચોક્કસ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસ સામે શરૂઆતમાં સૌથી મોટો પડકાર એ હતો કે આ ધમકી પાછળ કોઈ પ્રોફેશનલ ગેંગનો હાથ છે કે પછી કંપની સાથે જોડાયેલી જ કોઈ વ્યક્તિ સામેલ છે. તપાસ ટીમે ટેક્નિકલ સર્વેલન્સ, કોલ ડિટેલ્સ અને લોકેશન ટ્રેસિંગની મદદ લીધી હતી. ટેક્નોલોજીના સચોટ ઉપયોગથી પોલીસ આખરે શંકાસ્પદ સુધી પહોંચવામાં સફળ રહી હતી. આરોપીની ધરપકડ બાદ સામે આવેલા ખુલાસાથી આશ્ચર્ય સર્જાયું હતું, કારણ કે ખંડણી માંગનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ કંપનીનો જ એક પૂર્વ કર્મચારી નીકળ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ગુના પાછળનું મુખ્ય કારણ શેરબજારમાં થયેલું ભારે આર્થિક નુકસાન હોવાનું સામે આવ્યું છે. આરોપીને શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન આશરે રૂ.૨૦ લાખનું મોટું નુકસાન થયું હતું, જેના કારણે તેના પર રૂ.૧૫ થી ૨૦ લાખનું દેવું થઈ ગયું હતું. દેવાની ભરપાઈ કરવા અને આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે તેણે ગુનાખોરીનો શોર્ટકટ રસ્તો અપનાવ્યો હતો. કંપનીની સુરક્ષા વ્યવસ્થા અને કામગીરીથી વાકેફ હોવાને કારણે તેણે સરળતાથી પૈસા પડાવવાના આશયથી પચ્ચીસ લાખ રપિયાની ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો.
પોલીસે આરોપીની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે આ ખંડણીની રકમ કેવી રીતે મેળવવાનો હતો અને આ ષડયંત્રમાં તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ, તે અંગે કતારગામ પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે શેરબજારમાં વગર વિચાર્યા વિનાનું રોકાણ અને દેવાનો બોજ લોકોને ગુનાના માર્ગે ધકેલી દે છે, પરંતુ આધુનિક પોલીસ તપાસની ટેકનોલોજીથી બચવું શક્ય નથી.