રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા મેગા ડિમોલિશનની સૌથી ગંભીર અને કરુણ અસર અહીંના બાળકો પર જોવા મળી રહી છે. જે ઉંમરે બાળકોના ખભા પર ભણતરનું દફતર હોવું જોઈએ, આજે ત્યાં ઘરના કાટમાળમાંથી નીકળેલી લોખંડની એંગલ અને ઘરવખરીનો સામાન જોવા મળી રહ્યો છે.
માસૂમિયત પર બુલડોઝરનો પ્રહાર
તંત્ર દ્વારા ૧૪૮૯ મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાતા હજારો પરિવારો બેઘર બન્યા છે. આ અફરાતફરીમાં બાળકોની હાલત અત્યંત દયનીય બની છે. વર્ષો સુધી જે આંગણામાં તેઓ રમ્યા અને મોટા થયા, તે ઘરને પોતાની નજર સામે જમીનદોસ્ત થતું જોઈ આ માસૂમોના ચહેરા પર ગમગીની અને અકળ ખામોશી છવાઈ ગઈ છે.
ભણતર પર ખતરો, ભવિષ્ય ધૂંધળું
ડિમોલિશનના કારણે અનેક બાળકોનું શિક્ષણ પણ જોખમાયું છે. કાટમાળના ઢગલા વચ્ચે રમી રહેલા બાળકો હવે પોતાના રમકડાં અને પુસ્તકોને બદલે ઘરના પતરાં અને લોખંડનો સામાન ઉચકવા મજબૂર બન્યા છે. ૬૦ વર્ષથી રહેતા પરિવારો જ્યારે ઘર છોડી રહ્યા છે, ત્યારે આ નાના બાળકોને એ પણ ખબર નથી કે તેમની આજની રાત કઈ છત નીચે વીતશે. કાયદાકીય દ્રષ્ટિએ આ ઓપરેશન ભલે સફળ ગણાય, પરંતુ આ માસૂમોની આંખમાં રહેલી લાચારી અને છીનવાયેલું બાળપણ અનેક સવાલો ઊભા કરી રહ્યું છે.