માર્ગ અને મકાન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલા અગત્યના ગ્રામ્ય માર્ગ દલતુંગી, સેવક ભરુડીયા, ડબાસંગ રોડનું સપાટી સુધારણાનું કાર્ય સત્વરે હાથ ધરવામાં આવ્યું છે. ૨.૫ કિમી ની લંબાઈ ધરાવતા આ માર્ગના નવીનીકરણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મૂખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જોબ નંબર મંજૂર કરવામાં આવ્યો છે.
વરસાદના કારણે આ માર્ગની સપાટી ખરાબ હાલતમાં હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ તકલીફોને ધ્યાનમાં રાખીને, આ રસ્તા પર સપાટી સુધારણા અને નવીનીકરણની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી. આ પ્રોજેક્ટ હેઠળ માર્ગની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવવા માટે માટીકામ, ગુણવત્તાયુક્ત ડામર કામ, સી.સી.કામ તેમજ રોડ ફર્નિચર અન્વયે સાઈનેજ, માર્ક્સ, વગેરે જેવી કામગીરીઓ કરવામાં આવશે.
પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે. બી. છૈયા તથા નાયબ કાર્યપાલક ઇજનેર બી.આર.વસરા દ્વારા ઉપરોક્ત રસ્તાની સપાટી સુધારણાની કામગીરીને અગ્રતા આપીને સત્વરે શરૂ કરાવી દેવામાં આવી છે અને તેને બનતી ત્વરાએ પૂર્ણ કરાવવામાં આવશે. આ માર્ગનું કામ પૂર્ણ થવાથી દલતુંગી, સેવક ભરુડીયા તેમજ ડબાસંગ ગામ સહિતના આસપાસના ગામો તરફ જતા વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને સુરક્ષિત અને ઝડપી મુસાફરીનો લાભ મળશે, જેનાથી સમય અને ઇંધણની બચત થશે.