જૂનાગઢના ગિરનાર પર્વત પર 5500 પગથિયે આવેલ ગોરખ શિખર પર ગુરુ ગોરખનાથજી મંદિરમાં તોડફોડ અને પ્રતિમા ખંડિત થવાની ઘટનાથી સંતો મહંતો, ભાવિકો અને હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે.
ખંડિત પ્રતિમા જંગલના અવાવરું વિસ્તારમાં ફેંકી દીધી
હિમાલયના પરદાદા ગણાતા ગિરનાર પર્વત પર અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. જે ભાવિકોમાં આસ્થાનું કેન્દ્ર છે. ગત રાત્રે ગિરનાર પર્વત ૫૫૦૦ પગથિયા પર આવેલ ગુરુ ગોરખનાથ શિખર પર આવેલા ગોરક્ષનાથ મંદિરમાં તોડફોડ, કાચ ફોડી અને પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે. પ્રતિમાનું માથુ ધડથી અલગ કરી દેવાથી ભાવિકો ગુસ્સે ભરાયા છે. લેભાગુઓ દ્વારા મૂર્તિ તોડફોડની ઘટના બાદ જંગલના અવાવરું વિસ્તારમાં ફેંકી દીધી છે.
અજાણ્યા ઇસમો સામે ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી
સમગ્ર ઘટનાની જાણ થતા નાથસંપ્રદાયના સંતો તથા ધર્મ પ્રેમી લોકોમાં રોષ ફેલાયો છે. સમગ્ર બનાવ અંગે પૂજારી દ્વારા સંતોને જાણ કરી છે. હિન્દુ મંદિરમાં તોડફોડ અને પ્રતિમા ખંડિત થવાના બનાવ બાદ સંતો મહંતો અને ભાવિકોમાં રોષ ફેલાયો છે. બનાવ સંદર્ભે અજાણ્યા ઇસમો સામે ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓ દોડી ગયા
યાત્રાધામ ગિરનાર પર્વત પર મંદિરમાં તોડફોડ અને પ્રતિમા ખંડિત થયાની ઘટના બાદ એસ.પી, ડીવાયએસપી એલસીબી, એસઓજી અને ભવનાથ પોલીસ સહિતની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.