અરબી સમુદ્રમાં સાઉથ ઇસ્ટ દિશામાં નોર્થ કેરલા અને લક્ષદીપને લાગુ સંલગ્ન વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે. વાતાવરણમાં ફેરફારની અસરના ભાગરૂપે ઓખા, કંડલા, જામનગર, ભાવનગર સહિતના સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રીથી નીચે આવી ગયો છે. જોકે ગુજરાત તરફના દરિયાકાંઠાના વિસ્તારને ખાસ અસર જોવા મળી નથી. ગઈકાલે સુરતમાં મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી હતું જે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું હતું. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગરમાં ગઈકાલે 29.4 જામનગરમાં 27 કંડલામાં 29.6 અને ઓખામાં 26.8 ડીગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું.
અરબી સમુદ્રની આ સિસ્ટમના કારણે અરુણાચલ, તામિલનાડુ, લક્ષદીપમાં વરસાદ માટેની ચેતવણી આપવામાં આવી છે. આજે અમરેલીમાં 98, ભાવનગરમાં 92 અને પોરબંદરમાં ૯૦ ટકા ભેજ સવારે નોંધાયો હતો અને તેના કારણે ધુમ્મસ છવાયું હતું. બીજી બાજુ લઘુતમ તાપમાન પણ ઓછું હોવાથી ઠંડીનો જરા પણ અહેસાસ થતો નથી. આજે રાજકોટમાં 17.8, પોરબંદરમાં 14.3, નલિયામાં 14.3, કંડલામાં 18.5, ઓખામાં 19.4, વેરાવળમાં 19.2, અમરેલીમાં 16.2, ભાવનગરમાં 18.8, ભુજમાં 17.2 અને દ્વારકામાં 19 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ઉપરા ઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. આજે અને ત્યાર પછી તારીખ 8ના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના હોવાથી જમ્મુ કશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ અલગ બે તબક્કામાં હિમવર્ષા અને વરસાદ માટેની ચેતવણી આપવામાં આવી છે. પ્રથમ તબક્કો આવતીકાલથી શરૂ થશે અને બીજો તબક્કો તારીખ ૯ થી ૧૧ વચ્ચેનો રહેશે.