સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં ગઈકાલે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦થી ૯૫ ટકા આસપાસ પહોંચી જવાની સાથે જાકળ જોવા મળી હતી. ગઈકાલની સરખામણીએ આજે ભેજનું પ્રમાણ ઓછું છે. પરંતુ લઘુત્તમ તાપમાનના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી નીચું તાપમાન આજે રાજકોટમાં 20.5 ડીગ્રી નોંધાયું છે. મહત્તમ તાપમાનના મામલે પણ રાજકોટ રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ ટોચ પર હતું. ગઈકાલે રાજકોટમાં મહત્તમ તાપમાન 34.1 ડીગ્રી નોંધાયું હતું.
ગઈકાલ સુધી સમગ્ર રાજ્યમાં સરેરાશ લઘુતમ તાપમાન 23 થી 25 ડિગ્રી રહેવા પામ્યું હતું. આજે તેમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો મોટાભાગના સેન્ટરોમાં નોંધાયો છે. આજે ભુજમાં લઘુતમ તાપમાન 21.6 નલિયામાં 19.8 દ્વારકામાં 24.6 ઓખામાં 24.8 પોરબંદરમાં 22.4 ડીગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહિવત બની ગઈ છે અને નૈઋત્યનું ચોમાસું પાછું ખેચાવવાની અટકી ગયેલી પ્રક્રિયા હવે નવેસરથી શરૂ થઈ છે. આગામી બે થી ત્રણ દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું પાછું ખેંચાઈ જશે. ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્રમાંથી પણ ત્રણ દિવસમાં ચોમાસું પાછું ખેંચાઈ જવાની જાહેરાત હવામાન વિભાગે કરી છે. અત્યારે મોનસુન વીડ્રોલ લાઈન વેરાવળ ભરૂચ ઉજ્જૈન ઝાસીમાંથી પસાર થઈ રહી છે.
આસામ અને લક્ષદીપમાંથી અપર એરસાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પસાર થતી હોવાથી તમિલનાડુ કેરલા કર્ણાટક આંધ્રપ્રદેશ લક્ષદ્વીપ તેલંગાણા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડીસા આસામ મેઘાલય નાગાલેન્ડ મણીપુર જેવા રાજ્યોમાં આગામી બે ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથો સાથ પ્રતિ કલાકના 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફુકાવા માટે ચેતવણી આપવામાં આવી છે. આવતીકાલે બંગાળની ખાડીમાં નોર્થ દિશામાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે પરંતુ મોનસુન સપોર્ટિંગ અન્ય સિસ્ટમ ન હોવાના કારણે વરસાદના વધુ એક રાઉન્ડની શક્યતા કાલની આ સિસ્ટમના આધારે જોવા મળતી નથી.