BREAKING NEWS

રાષ્ટ્રપ્રથમનો ભાવ: ગુજરાતમાં 'મેરા દેશ પહલે' ની પ્રસ્તુતિથી નવા ભારતની ભાવના થઈ ઉજાગર

  • October 11, 2025 09:03 PM 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ ભાવને ઉજાગર કરતી ભવ્ય સંગીતમય પ્રસ્તુતિ 'મેરા દેશ પહલે' – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ શ્રી નરેન્દ્ર મોદી નો પ્રથમ પ્રયોગ ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં યોજાયો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'રાષ્ટ્રપ્રથમ' ના વિચારને ઉજાગર કરતી આ પ્રસ્તુતિએ ઉપસ્થિત લોકોમાં, ખાસ કરીને યુવાશક્તિમાં, નવા ભારતની પ્રેરણાત્મક ભાવના જગાવી હતી.




ગિફ્ટ સિટીમાં ઉમટી યુવાશક્તિ
પ્રસિદ્ધ કવિ અને ગીતકાર મનોજ મુંતશિર દ્વારા લિખિત અને નિર્મિત આ મ્યુઝિકલ ગાથાને નિહાળવા માટે ગિફ્ટ સિટી ખાતે મોટી સંખ્યામાં યુવાશક્તિ ઉમટી પડી હતી. આ કાર્યક્રમે વડાપ્રધાન શ્રી મોદીની લાંબી જાહેર જીવનયાત્રાના વિવિધ પાસાંઓને કલાના માધ્યમથી રજૂ કર્યા હતા.




અક્ષય કુમાર સહિત 200થી વધુ કલાકારોની પ્રસ્તુતિ
આ રોમાંચક મ્યુઝિકલ પ્રસ્તુતિમાં પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સહિત 200થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. આ કલાકારોએ એક શક્તિશાળી પ્રદર્શન દ્વારા વડાપ્રધાન શ્રી મોદીના સંઘર્ષ, સપના અને રાષ્ટ્ર માટેના યોગદાનને અસરકારક રીતે દર્શાવ્યું હતું. આ પ્રસ્તુતિએ દર્શકોને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ અને દેશભક્તિના ભાવથી તરબોળ કર્યા હતા.




વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઇ રહેલા નવા ભારતના રૂપાંતરણની રોમાંચક કહાની ‘મેરા દેશ પહલે’નો ગુજરાતમાં સૌપ્રથમ ભવ્ય શો શુક્રવારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાયો હતો. 




શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગર જ્યાંથી તેમની પ્રેરણાદાયી જીવનયાત્રા શરૂ થઈ અને હવે દેશના વડાપ્રધાન તરીકે તેમણે ભારતને વિશ્વ ગૌરવ અપાવ્યું ત્યાં સુધીની સમગ્ર રોમાંચક સફર તથા  રાષ્ટ્રને સમર્પિત તેમના જીવનની વણકહી બાજુઓની પ્રસ્તુતિ માત્ર સાંસ્કૃતિક પ્રસ્તુતિ જ નહિ, રાષ્ટ્રીય જનચેતનાના આંદોલનને પ્રેક્ષકોની નજર સમક્ષ તાદૃશ કરનારી બની રહી હતી. 




મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ ઉદ્યોગ વ્યાપાર જગતના અગ્રણીઓ સર્વશ્રી પંકજ પટેલ, પ્રણવ અદાણી, ટોરેન્ટ પરિવાર, એસોચેમના શ્રી ચિંતન ઠાકર સહિત અનેક ગણમાન્ય અગ્રણીઓ, ઉદ્યોગ-વ્યાપારકારો અને મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી સહિતના વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ અધિકારીઓએ આ મંચન માણ્યું હતું. 



​​​​​​​
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરની શાળાના સાહસિક વિદ્યાર્થી તરીકે શરૂ થયેલી સફર સોમનાથ-અયોધ્યા રથયાત્રા, કાશ્મીર સુધીની એકતાયાત્રા અને અલગાવવાદીઓની ધમકીનો પડકાર ઝિલી લઈને શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવવા તેમજ વડાપ્રધાનશ્રી તરીકે દેશની સેનાને તેમણે આપેલા માર્ગદર્શનથી ઓપરેશન સિંદૂરની શૌર્યગાથા, રામ મંદિર નિર્માણનો સંકલ્પ સાકાર થવા સહિતના સમગ્ર ઘટનાક્રમનું દ્રશ્ય-શ્રાવ્ય અને સંગીતમય મંચન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.  


લેખક, નિર્માતા અને પ્રસ્તુતકર્તા મનોજ મુંતશિરના રસાળ અને સચોટ સંચાલન સાથે પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સહિત 200થી વધુ કલાકારોએ ગિફ્ટ સિટી પરિસરને રાષ્ટ્રભક્તિમય બનાવી દીધું હતું.


વિશાળ સંખ્યામાં આ શૉને નિહાળવા ઉમટી પડેલી યુવાશક્તિ અને સમાજ જીવનના અગ્રણીઓની ઉપસ્થિતિએ પુરવાર કર્યુ છે કે, ‘મેરા દેશ પહલે’ એ માત્ર કોઈ સામાન્ય શૉ નહિં, પરંતુ નવી પેઢીની વિચારધારાનું પ્રતીક બની ગયો છે.


‘મેરા દેશ પહલે’ - ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ શ્રી નરેન્દ્ર મોદીની દેશભરમાં થઈ રહેલી આ પ્રસ્તુતિ એ વાતનું પ્રમાણ છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘નેશન ફર્સ્ટ’ની ભાવના હવે ઐતિહાસિક સાંસ્કૃતિક આંદોલન બની ગઈ છે તેમાં વડાપ્રધાનશ્રીની વતનભૂમિ ગુજરાતના યુવાઓ સહિત સૌ કોઈ ઉત્સાહથી જોડાઈ રહ્યાં છે 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News