જામનગરના પંચવટી વિસ્તારની એક શિક્ષિકાએ આત્મહત્યા કરી લીધી હતી. જેની પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં ત્રણ શખ્સોના ત્રાસના કારણે આત્મહત્યા કરતી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ અતિ ચકચારી કેસ ચાલી જતાં અદાલતે ત્રણ આરોપીઓને સાત વર્ષ ની સજાનો હુકમ કર્યો છે.
જામનગરના પંચવટી સોસાયટીમાં રહેતી અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી નૂરજહાબહેન નામની યુવતીએ તા.૧૭/૫/૨૦૨૩ના રોજ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી હતી. તેણીએ એક સ્યુસાઇટ નોટ પણ લખી હતી. જેને પોલીસે કબજે કરી હતી તેમાં એક ઉલ્લેખ કરાયો હતો કે રજાક, અખ્તર અને અફરોઝના ત્રાસના કારણે જીવાદોરી ટૂંકવાની ફરજ પડી રહી છે. તેના અનુસંધાને તેણીના ભાઈ ઇશાકભાઈ રહીમભાઈ હૂંદડાની ફરિયાદ ના આધારે જે તે સમયના તત્કાલીન પોલીસ ઇન્સ્પેકટર એચ.પી. ઝાલા, પી.એસ.આઈ. બી.બી. કોડિયાતર અને તેઓની ટીમે ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ ત્રણેય આરોપીઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે ગુનો નોંધી ધરપકડ કરી હતી.અને કોર્ટ માં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
આ કેસમાં મળી આવેલી સ્યુસાઇડ નોટ બાબતે એકસ્પર્ટની મદદ લેવામાં આવી હતી અને સાક્ષી તેમજ પુરાવાઓ તપાસવમાં આવ્યા હતા, દરમ્યાનમાં આ અંગેનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ વેમુલાએ સરકારી પક્ષના વકીલની દલીલો તેમજ પોલીસ વિભાગ દ્વારા રજૂ કરાયેલા તમામ પુરાવાઓ વગેરેને ધ્યાનમાં રાખીને ત્રણ આરોપી રજાક નુરમહંમદભાઈ સાયચા, અખ્તર અનવરભાઈ ચમડિયા અને અફરોઝ તૈયબભાઈ ચમડીયાને સાત વર્ષ ની જેલ સજા નો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે વકીલ ડી આર ત્રિવેદી રોકાયા હતા.