સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-સરા પાસે આજરોજ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. અહીં ધ્રાંગધ્રા-સરા વચ્ચે આવેલી કાળાપાણી નદીના બ્રિજ પરથી કાર નદીમાં ખાબકતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતાં. મૃતકોમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. બનાવને લઇ સ્થાનિક પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી.
સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર નદીમાં ખાબકી
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મુળી તાલુકાના દાધોળીયા ગામના 45 વર્ષીય ચોપાભાઈ બિજલભાઈ જેજરીયા પોતાની શિફ્ટ કાર લઇને ધ્રાંગધ્રા-સરા હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન કાળાપાણી નદીના બ્રિજ પર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર નદીમાં ખાબકી હતી. આ ગોઝારા અકસ્માતમાં ચોપાભાઈ બિજલભાઈ જેજરીયા, બબુબેન છનાનાઈ દેવસીભાઈ જેજરીયા (ઉંમર 50) અને ભાનુબેન રમેરાભાઈ જેઠાભાઈ જેજરીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પરિવારમાં અને ગામમાં શોક છવાયો
અકસ્માતની જાણ થતાં જ અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતાં. જેમણે જાણ કરતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહોને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોને કાળ ભેટતાં પરિવારમાં અને ગામમાં શોક છવાય ગયો હતો.