જેનું સીમંત કરવા પરિવાર વતન આવતો હતો તેને જ કાળ ભેટ્યો, ભાવનગર પાસે કાર-આઈસર વચ્ચે અકસ્માત, દાદા અને પૌત્ર-પુત્રવધૂનું મોત

  • May 02, 2025 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લામાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણ લોકો કાળનો કોળિયો બની ગયા છે. આ ઘટનાની વિગત એવી છે કે, અલગ અલગ બે કારમાં એક પરિવારના પાંચ સભ્યો અમદાવાદથી બાબરા આવી રહ્યાં હતા. ત્યારે ભાવનગર પાસે આઈસર ટ્રક સાથે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ સભ્યોના કમકમાટીભર્યા મોત થયા હતા. બનાવ અંગે વલ્લભીપુર પોલીસ મખતમાં આઈસર ટ્રકના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.    


બે કારમાં પરિવાર સીમંત કરવા વતન બાબરા આવતો હતો

મળતી માહિતી મુજબ, મુળ લાઠી તાલુકાના મતિરાળા ગામના વતની છેલ્લા ઘણાં સમયથી બાબરા ખાતે રહેતા ભુપતભાઈ રામજીભાઈ બોરસાણીયા ગુરૂવારે તેમના પૌત્ર જયભાઈ, એકતાબેન સાથે કારમાં તથા અન્ય એક કારમાં ધ્રુવભાઈ તથા તેમના પત્ની દ્રષ્ટિબેન અમદાવાદથી બાબરા ખાતે આવી રહ્યાં હતા. ત્યારે વલ્લભીપુર તાલુકાના કાનપર ગામ પહેલા આવતા નાળા પાસે વલ્લભીપુર તરફથી આવી રહેલા આઈસર વાહને તેમની કાર સાથે અકસ્માત સર્જતા કારમાં સવાર જયભાઈ, એકતાબેન તથા ભુપતભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 


તબીબે મૃત જાહેર કર્યા હતા

જેમને ઈમરજન્સી 108 મારફત સારવાર અર્થે વલ્લભીપુર સરકારી દવાખાને ખસેડવા આવ્યા હતા. જ્યાં ભુપતભાઈ શામજીભાઈ બોરસણીયા (ઉં.80)ને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે જયભાઈ તથા એકતાબેનને પ્રાથમિક સારવાર આપી ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં જયભાઈ (ઉં.વ.30) તથા એકતાબેન (ઉં.28)નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે હરેશભાઈ રવજીભાઈ બોરસાણીયા (રહે.બાબરા, જી.અમરેલી)એ વલ્લભીપુર પોલીસ મથકમાં આઈસર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મૃતક દંપતી જયભાઈ તથા એકતાબેનના ચાર વર્ષ પૂર્વે લગ્ન થયાં હતા અને અમદાવાદ ખાતે રહેતા હતા. એકતાબેન ગર્ભવતી હતા અને આગામી 7મી મેના રોજ તેમનું સીમંત હોવાથી વતન બાબરા ખાતે જઇ રહ્યાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application