રાયગઢમાં 40 લાખના લાંચ કેસમાં સીજીએસટીના એડિશનલ કમિશનર સહિત ત્રણ લોકોની ધરપકડ
રાયગઢમાં 40 લાખના લાંચ કેસમાં સીજીએસટીના એડિશનલ કમિશનર સહિત ત્રણ લોકોની ધરપકડ
August 29, 2026 10:28 AM
સીબીઆઈએ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં રૂ.40 લાખના લાંચ કેસમાં કેન્દ્રીય માલ અને સેવા કર (સીજીએસટી) વિભાગના એક એડિશનલ કમિશનર, એક જીએસટી સુપરિન્ટેન્ડેન્ટ અને તેમના એક સહયોગીની ધરપકડ કરી છે. આ કાર્યવાહીથી સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં સીજીએસટીના એડિશનલ કમિશનર વિનય કુમાર કાંઠેતી, જીએસટી સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ કુમાર સિંહા અને નરિન્દર રાજપૂતનો સમાવેશ થાય છે. આ કેસમાં સીબીઆઈએ 26 ઓગસ્ટના રોજ આરોપી સીજીએસટી સુપરિન્ટેન્ડેન્ટ વિરુદ્ધ લાંચની માંગણીના આરોપસર કેસ નોંધ્યો હતો.ફરિયાદ મુજબ, ફરિયાદીની પથ્થર ખાણકામ કંપની સાથે સંબંધિત જીએસટી અને રોયલ્ટી કેસના સમાધાન માટે આરોપીઓ દ્વારા શરૂઆતમાં રૂ.1.50 કરોડની લાંચની માંગણી કરવામાં આવી હતી. જોકે, ફરિયાદી સાથે થયેલી વાટાઘાટો બાદ આ રકમ ઘટાડીને રૂ.40 લાખ કરવામાં આવી હોવાનું સીબીઆઈએ જણાવ્યું છે.તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આરોપી સરકારી અધિકારીઓએ લાંચની રકમ વસૂલવા માટે નરિન્દર રાજપૂતને મધ્યસ્થી તરીકે જવાબદારી સોંપી હતી. ફરિયાદ મળ્યા બાદ સીબીઆઈએ સમગ્ર મામલામાં છટકું ગોઠવ્યું હતું. આયોજનબદ્ધ કાર્યવાહી દરમિયાન રાજપૂતને રૂ.40 લાખની લાંચની રકમ સ્વીકારતી વખતે રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો.સીબીઆઈના નિવેદન અનુસાર, રાજપૂતની ધરપકડ બાદ તપાસ આગળ વધારવામાં આવી હતી અને આ મામલામાં સંડોવણી બદલ એડિશનલ કમિશનર વિનય કુમાર કાંઠેતી તથા સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ કુમાર સિંહાની પણ ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે બંને સરકારી અધિકારીઓએ બાદમાં લાંચની રકમ સ્વીકારવામાં આવી હોવાનું સ્વીકાર્યું હતું.આ કેસમાં સીબીઆઈ દ્વારા આરોપીઓની ભૂમિકા, લાંચની માંગણી પાછળના કારણો તેમજ જીએસટી-રોયલ્ટી કેસના સમાધાન સાથે જોડાયેલા અન્ય પાસાઓની વધુ તપાસ કરવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલા આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત અદાલતમાં રજૂ કરવામાં આવશે.સીબીઆઈની આ કાર્યવાહી સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર સામે ચાલી રહેલી કડક કાર્યવાહીનું વધુ એક ઉદાહરણ માનવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે પણ સ્પષ્ટ થઈ શકે છે.