સિંધુ જળ સંધિ ફરી લાગુ કરવા, પાણી ડેટા શેર કરવા પાકિસ્તાનની આજીજી
સિંધુ જળ સંધિ ફરી લાગુ કરવા, પાણી ડેટા શેર કરવા પાકિસ્તાનની આજીજી
August 29, 2026 10:45 AM
ભારતે સ્થગિત કરેલી સિંધુ જળ સંધિ ફરી સંપૂર્ણ રીતે અમલમાં મૂકવા માટે પાકિસ્તાને ફરી દબાણ વધાર્યું છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે ભારતને સંધિ હેઠળની ટેકનિકલ વાતચીત, પારદર્શિતા અને નદીઓના પાણી સંબંધિત ડેટાની આપ-લે ફરી શરૂ કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનને તેના હિસ્સાનું પાણી ન મળે એવી કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો તેની પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા પર ગંભીર અસર પડી શકે છે.વોશિંગ્ટનમાં પાકિસ્તાની દૂતાવાસ દ્વારા આયોજિત ‘સિંધુ જળ સંધિ: દક્ષિણ એશિયાની સુરક્ષા નિર્ણાયક વળાંક પર’ વિષયક સેમિનારને વર્ચ્યુઅલી સંબોધતાં ડારે ભારત સામે ત્રણ માગ મૂકી હતી. તેમણે કહ્યું કે ૧૯૬૦ની સિંધુ જળ સંધિનો અક્ષરશઃ અમલ થવો જોઈએ, બંને દેશો વચ્ચેના મતભેદો અને વિવાદોનો ઉકેલ સંધિમાં નક્કી કરવામાં આવેલી વ્યવસ્થા પ્રમાણે જ લાવવો જોઈએ અને ટેકનિકલ સંપર્ક, પારદર્શિતા તથા પાણીના ડેટાની આપ-લે ફરી શરૂ કરવી જોઈએ.ડારે કહ્યું કે આ કોઈ ગેરવાજબી માગ નથી. બે સાર્વભૌમ દેશોએ ગંભીર વાટાઘાટો પછી કરેલી અને છ દાયકાથી વધુ સમય સુધી અમલમાં રહેલી સંધિમાં આ જ વ્યવસ્થા કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ, લશ્કરી તણાવ અને રાજદ્વારી સંબંધોમાં ગંભીર કટોકટી છતાં આ સંધિ છ દાયકાથી વધુ સમય ટકી રહી હતી.ભારતે એપ્રિલ ૨૦૨૫માં પહેલગામ આતંકી હુમલા પછી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. પહેલગામમાં ૨૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ભારતે આ હુમલા માટે પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદીઓને જવાબદાર ગણાવ્યા હતા. ત્યારબાદ ભારતની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીએ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે સિંધુ જળ સંધિ હાલ સ્થગિત જ રહેશે.૧૯૬૦માં વિશ્વ બેંકની મધ્યસ્થીથી થયેલી સિંધુ જળ સંધિ હેઠળ રાવી, બિયાસ અને સતલજ જેવી પૂર્વીય નદીઓના પાણી પર ભારતને મુખ્ય અધિકાર મળ્યો હતો, જ્યારે સિંધુ, ઝેલમ અને ચિનાબ જેવી પશ્ચિમી નદીઓનું મોટાભાગનું પાણી પાકિસ્તાન માટે ફાળવવામાં આવ્યું હતું. ભારતને પશ્ચિમી નદીઓ પર સંધિમાં નક્કી કરેલી શરતો હેઠળ જળવિદ્યુત ઉત્પાદન સહિતના કેટલાક ઉપયોગોની છૂટ આપવામાં આવી હતી.