નફાખોરી, જામનગર યાર્ડમાંથી બજાર સુધી પહોંચતા શાકભાજીના ભાવ બમણાં..!
જામનગરમાં જીવનજરૂરી શાકભાજીના ભાવમાં બેફામ નફાખોરી કરવામાં આવી રહી છે. કારણ કે, યાર્ડમાંથી શહેરની બજાર સુધી પહોંચતા શાકભાજીના ભાવ મહદઅંશે બમણાં થઇ જાય છે. વરસાદ ખેંચાતા વાવેતર ઘટતા મર્યાદીત આવકથી જીવનજરી શાકભાજીના ભાવ સળગતા મહીનાનું બજેટ ખોરવાતા ગૃહણીઓમાં કાગારોળ મચી ગઇ છે. બીજી બાજુ જો મેઘરાજા મહેર નહીં કરે તો શાકભાજીનું ઉત્પાદન ઘટવાની ભીતિ પણ છે. ચોમાસમાની સીઝનમાં લીંબુના કીલોના ભાવ વધીને ૧૬૦ પર પહોંચી ગયા છે.
વર્તમાન સમયમાં મોંઘવારીએ માઝા મૂકી છે. આથી મઘ્યમ અને ગરીબ વર્ગના લોકોનુું જીવન દીન-પ્રતીદીન વધુ દોયલું બનતું જાય છે. રાંધણગેસ, પેટ્રોલ, અનાજ, કઠોળ, ખાંડના ભાવમાં વધારાએ લોકોની કમર તોડી નાખી છે. કારમી મોંઘવારીના કારણે મર્યાદીત આવક સામે જાવકનું ૫્રમાણ દીન-પ્રતિદીન વધી રહ્યું છેે. આ કપરી સ્થિતિમાં જીવનજરી ચીજવસ્તુના ભાવમાં નફાખોરી અને સંગ્રહાખોરીના કારણે પણ ભાવ વધવાથી લોકો લૂંટાઇ રહ્યા છેે. વરસાદ ખેંચાતા શાકભાજીના વાવેતરને પણ ફટકો પડયો છે. આથી શાકભાજીના ભાવમાં ભડકો થયો છે.
નવાઇની વાત તો એ છે કે, જામનગર યાર્ડમાંથી શહેરના સ્થાનીક બજારોમાં પહોંચતા સુધીમાં શાકભાજીના કીલોના ભાવ મહદઅંશે બમણાં થઇ જાય છે. આથી લોકોને વધુ ભાવ ચૂકવવા પડી રહ્યા છે. જે કારમી મોંઘવારીમાં પડયા પર પાટુ સમાન છે. શહેરના હાપા માર્કેટ યાર્ડમાં શાકભાજી કીલો ૨૦ થી ૨૫ થી ૧૦૦ થી ૧૫૦ સુધી વેંચાઇ રહ્યા છે. આ જ શાકભાજી શહેરના સ્થાનીક બજારોમાં ૫૦ થી ૧૦૦ અને ૨૦૦ થી ૩૦૦ લેખે વેંચાઇ રહ્યા છે. આટલું જ નહીં શહેરના સ્થાનિક બજારો કરતા શેર અને ગલીઓમાં તો લારીધારકોે તેનાથી પણ વધુ કીંમતે શાકભાજીનું વેંચાણ કરી રહ્યા છે. જેના કારણે ગૃહણીઓના મહીનાના બજેટ વેરવિખેુર થઇ ગયા છે.
સામાન્ય રીતે ઉનાળામાં લીંબુના ભાવ આસમાને પહોંચે છે. પરંતુ હાલમાં ચોમાસાની સીઝનમાં ૧ કીલો લીંબુના ભાવ વધીને ૧૬૦ પર પહોંચી ગયા છે. બીજી બાજુ પાલખ ૨૦, મેથી ૬૦ અને કોથમરીના એક પુરીયાના ભાવ વધીને ૬૦ પર પહોંચી જતાં મુશ્કેલી બેવડાઇ છે. શાકભાજીએ દરેક લોકો માટે જીવનજરૂરી વસ્તુ હોય તેના વગર ચાલે નહીં તે સ્વાભાવિક છે. ત્યારે શાકભાજીના ભાવ વધવાની સાથે યાર્ડમાંથી આવતા શાકભાજી બજારોમાં બમણાં ભાવે વેંચાતા લોકો જાયે તો જાયે કહાંની સ્થિતિમાં મૂકાયા છે. આટલું ઓછું હોય તેમ ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવમાં પણ ઘરખમ વધારો થતાં મુશ્કેલી ઘટવાને બદલે વધી છે. જો હજુ મેઘરાજા મહેર નહીં કરે તો શાકભાજીનું ઉત્પાદન ઘટશે તેમાં બેમત નથી. આથી ભાવ વધારાની શકયતા પણ નકારી શકાતી નથી.