શાપરમાંથી સગીરાને ભગાડી જવા અંગે તેના વાલીએ ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.દરમિયાન પોલીસે આરોપીને રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાંથી ઝડપી લઇ સગીરાને મુક્ત કરાવી હતી. પોલીસ તપાસમાં આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ભગાડી ગયા બાદ મારકૂટ કરી અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચર્યાનું માલુમ પડતાં આરોપી સામે પોકસો એક્ટની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શાપર પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો
જાણવા મળતી વિગતો મુજબ, ગત તા. 29/ 4/ 2025 ના ફરિયાદીએ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી વિશાલ ચંદુભાઈ જાડા (રહે. રાજકોટ) તેની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો છે. જે અંગે શાપર પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો.
સગીરાને મુક્ત કરાવી હતી
ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પી.આઈ આર.બી.રાણાની રાહબરી હેઠળ અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી હતી. દરમિયાન આરોપી રાજકોટમાં માંડા ડુંગર વિસ્તારમાં હોવાની માહિતી મળતા પોલીસની ટીમે અહીં પહોંચી આરોપી વિશાલ ચંદુભાઈ જાડા (ઉ.વ 22 રહે. નવાગામ રંગીલા ઢોરા પર, રાજકોટ)ને ઝડપી લઇ સગીરાને મુક્ત કરાવી હતી.
દુષ્કર્મ આચર્યાનું માલુમ પડ્યું હતું
પોલીસ તપાસમાં આરોપી વિશાલ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયા બાદ તેની સાથે મારકૂટ કરી વિવિધ સ્થળોએ લઈ જઇ તેના પર દુષ્કર્મ આચર્યાનું માલુમ પડ્યું હતું જેથી આ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો એક્ટની કલમનો ઉમેરો કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
16 વર્ષની કિશોરીને લલચાવી ફોસલાવી
અન્ય એક બનાવમાં લોધિકા તાલુકાના ગામમાં રહેતી અને ખેત મજૂરી કરનાર મૂળ એમ.પીના વતની પરિવારની 16 વર્ષની કિશોરીને લલચાવી ફોસલાવી શંકર આદિવાસી નામના શખસે તેના પર અવારનવાર દુષ્કર્મ આચરી તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી. કિશોરીની તબિયત બગડતા તેને હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં તેણે મૃત સંતાનને જન્મ આપ્યા બાદ આ હકીકત સામે આવી હતી. બાદમાં તેના પરિવારજનો આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.