રાજકોટ શહેરના રૈયાગામમાં નવી બનતી અપટાઉન વ્યુ નામની બાંધકામની સાઈટના ગ્રાઉન્ડ ફ્લોરમાં લિફ્ટની નજીક સ્ટ્ર્કચરનું કામ કરતા બે શ્રમિકોને વીજશોક લાગતા કરુણ મોત નિપજતા સાથી શ્રમિકોમાં અરેરાટી મચી જવા પામી હતી. બંને શ્રમિકો પંદર દિવસથી સાઈટ ઉપર કામે લાગ્યા હતા અને મૂળ એમપીના રહેવાસી હતા. બનાવના પગલે યુનિવર્સીટી પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને શોક કેવી રીતે લાગ્યો હતો સહિતની તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ એમપીના અને હાલમાં રૈયાગામ નજીક પાટીદાર ચોકથી આગળ આવેલી અપટાઉન વ્યુ નામની બાંધકામની સાઈટ ઉપર મજૂરી કામ કરતા રામબલી કુશવાહા (ઉ.વ.26) અને સૂરજ હીરાલાલ કુશવાહા (ઉ.વ.21) બંને આજે સવારે અગ્યારે વાગ્યે સાઈટના ગ્રાઉન્ડ ફ્લોરમાં લિફ્ટની નજીક દીવાલમાં સ્ટ્ક્ચરનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જોરદાર વીજ કરંટ લાગતા બંને ચીસ પાડી બેભાન થઇ ઢળી પડ્યા હતા. આ જોઈ ત્યાં કામ કરતા સાથી શ્રમિકો, મુકાદમ સહિતના દોડી ગયા હતા અને 108ને જાણ કરતા તાકીદે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પરંતુ જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા યુનિવર્સીટી પોલીસનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર રામબલી કુશવાહા પત્ની સાથે ભરતવન પાસે રૂમ રાખીને રહેતો હતો જયારે સૂરજ સાઈની ઓરડીમાં રહેતો હતો. ઘટનાના પગલે બંને યુવકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. શોક કેવી રીતે લાગ્યો એ ત્યાં કામ કરતા શ્રમિકોને પણ ખબર ન હોય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application