ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકસાની સહાય આપવા માટે સર્વે કરવામાં આવ્યો છે. આજે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કૃષિ રાહત પેકેજ અંગે નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, કમોસમી વરસાદથી ગુજરાતના 16 હજાર ગામડાઓમાં નુકસાન થયું છે. 42 લાખ હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતોનો પાક ધોવાયો છે.
આ માવઠું નથી, કુદરતનો કઠોર આઘાત છે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ખૂબ ગંભીરતાથી બેઠકો કરી છે. મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠકો કરી છે. ખૂબ જ ત્વરિત નિર્ણય કરવામાં આવશે, કોંગ્રેસની ખેડૂતોનું દેવું માફ કરવાની માગણી અંગે જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ સમય રાજનીતિ કરવાનો નથી. ખેડૂતોનું મનોબળ ના તૂટે તે માટે કામ કરવાનું છે. જે સરકારના સમયે થયું તે સમય મુજબ કામ કર્યું હોય. તે લોકો ખેડૂતની વાત કરે છે અમે પણ ખેડૂતની જ વાત કરીએ છીએ. ખેડૂતને મદદ કરવાનો આ સમય છે. આ માવઠું નથી, કુદરતનો કઠોર આઘાત છે.