સવારે શપથવિધિ, બપોરે ખાતાઓની ફાળવણી કરાયા બાદ તમામ મંત્રીઓને સાંજે ચેમ્બરોની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગના નાયબ સચિવ (સંકલન) જી.બી.ઝાલાએ આ સંદર્ભે એક નોટિફિકેશન બહાર પાડીને કયા મંત્રીને કયાં ચેમ્બર ફાળવવામાં આવી છે તેની જાહેરાત કરી છે.
સૌરાષ્ટ્રમાંથી મંત્રીપદ મેળવનાર ને કયાં ચેમ્બર ફાળવવામાં આવી છે તેની વાત કરીએ તો જીતુભાઈ સવજીભાઈ વાઘાણી કુવરજીભાઈ મોહનભાઈ બાવળીયા અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા અને ડોક્ટર પ્રદ્યુમન ગનુભાઈ વાજા ને સ્વર્ણિમ સંકુલ એકમાં ચેમ્બર ઓફ ફાળવવામાં આવી છે, આ તમામ કેબિનેટ કક્ષાના મંત્રીઓને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જ્યાં બેસશે તે સંકુલમાં ચેમ્બરો ફાળવામાં આવી છે. જોકે મુખ્યમંત્રી નું કાર્યાલય ત્રીજા અને ચોથા માળે રાખવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી બીજા માળે બેસશે અને અન્ય કેબિનેટ મંત્રીઓ પણ પ્રથમ અને બીજા માળે બેસશે.
સૌરાષ્ટ્રમાંથી મંત્રી બનનાર અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લેનાર પરસોતમ સોલંકી કાંતિલાલ અમૃતિયા ત્રિકમ છાંગા રિવાબા જાડેજા કૌશિકભાઈ વેકરીયા ને સવર્ણીમ સંકુલ બેમાં ચેમ્બર ફાળવવામાં આવી છે.
નવનિયુક્ત કેબિનેટ મંત્રીઓ રાજ્ય કક્ષાના મંત્રીઓ અને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય કક્ષાના મંત્રીઓને ચેમ્બરોની ફાળવણી કરી દેવામાં આવી છે. રાજ્યકક્ષાના મંત્રી માં જેમને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યા છે તેમને પણ સ્વર્ણિમ સંકુલ બેમાં જ ચેમ્બર ફાળવવામાં આવી છે. સંકુલ એકમાં મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને કેબિનેટ મિનિસ્ટરોને ચેમ્બર ફાળવવામાં આવી છે.
ચેમ્બરોની ફાળવણી પૂરી થયા બાદ હવે મંત્રીઓ પોતાની અનુકૂળતા મુજબ ચેમ્બરનો હવાલો સંભાળશે અને કામગીરી શરૂ કરશે.
દરેક મંત્રીને એક અંગત સચિવ અને એક નાયબ અંગત સચિવ મળી રહે તે માટે 70 અધિકારીઓના ઓર્ડર કરી દેવામાં આવ્યા છે.35 સેક્શન ઓફિસરોને અંગત સચિવ તરીકેની અને 35 નાયબ સેક્શન ઓફિસરોને નાયબ અંગત મદદનીશ તરીકેની જવાબદારી વચગાળાની વ્યવસ્થા તરીકે સોંપવામાં આવી છે. માત્ર બે મહિના માટે આ નિમણૂક કરવામાં આવી છે અને જો તે પહેલા કોઈ મિનિસ્ટર આ માટેની વ્યવસ્થા કરી લેશે તો બે મહિના પહેલા જ જે તે અધિકારીની નિમણૂક પરત ખેંચાશે. જે 70 અધિકારીના ઓર્ડર કરવામાં આવ્યા છે તે તમામને આજે સવારે સચિવાલયમાં મીટીંગ યોજીને ખાસ તાલીમ પણ આપવામાં આવી હતી.