ભારતીય ક્રિકેટના ઉગતા સિતારા અને માત્ર 15 વર્ષના વિસ્ફોટક કીશોર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને લઈને ઇંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં અત્યારથી જ જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ વર્ષે આઈપીએલમાં રનની આતિશબાજી અને રેકોર્ડબ્રેક પ્રદર્શનના આધારે વૈભવને ભારતીય ટી૨૦ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વૈભવના આગામી ઇંગ્લેન્ડ પ્રવાસને લઈને ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરો માર્ક બુચર અને એલિઝાબેથ અમોને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે વૈભવની હાજરીથી આ શ્રેણી માત્ર એક ક્રિકેટ ટૂર્નામેન્ટ નહીં પરંતુ એક 'હાઈ-વોલ્ટેજ શો' બની જશે, જેના લીધે સ્ટેડિયમની ટિકિટો ગરમ સમોસાની જેમ પળવારમાં વેચાઈ જશે અને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) ના કમાણીના તમામ રેકોર્ડ તૂટી જશે.
આંકડા નથી પણ બોલરો માટે આફત છે વૈભવની બેટિંગવૈભવ સૂર્યવંશી મેદાન પર રન બનાવવા ઉપરાંત મેચની આખી રમત અને માહોલ બદલવાની અદભુત ક્ષમતા ધરાવે છે
પ્રચંડ સ્ટ્રાઈક રેટ:-વૈભવે આખી આઈપીએલ ટૂર્નામેન્ટ દરમિયાન 237 થી વધુના પ્રચંડ સ્ટ્રાઈક રેટ સાથે રન ફટકાર્યા છે, જે ક્રિકેટના ઇતિહાસમાં અકલ્પનીય મનાય છે.
સૌથી વધુ સિક્સર:- આ સીઝનમાં સૌથી વધુ રન બનાવવાની સાથે વૈભવે ચોગ્ગા અને છગ્ગાની ભવ્ય વરસાદ કરીને ક્રિકેટ પંડિતોને ચોંકાવી દીધા છે.
બોલરોમાં ગભરાટ:- લિયામ લિવિંગસ્ટોન અને પેટ કમિન્સ જેવા દિગ્ગજ આંતરરાષ્ટ્રીય બોલરો પણ સ્વીકારે છે કે નેટ્સમાં પણ વૈભવ સામે ક્યાં બોલિંગ કરવી તે સમજવું મુશ્કેલ બને છે.
માત્ર આક્રમક રમત:- વૈભવના બાળપણના કોચ મનીષ ઓઝાના મતે, તેમણે ક્યારેય વૈભવને ડિફેન્સની પ્રેક્ટિસ કરતા જોયો નથી, તેની ડિક્શનરીમાં માત્ર એક જ શબ્દ છે અને તે છે સખત પ્રહાર.
ઇંગ્લેન્ડની ધરતી પર સ્વીંગ કન્ડિશનમાં અસલી કસોટી
હવે ક્રિકેટ રસિકોની નજર એ વાત પર ટકેલી છે કે શું આ યુવા બેટ્સમેન ઇંગ્લેન્ડના કપરા હવામાન, સ્વીંગ થતા બોલ અને કઠિન વિકેટ પર પણ પોતાનો આ જ આક્રમક અંદાજ જાળવી શકશે કે નહીં. ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન રમાનારી ટી૨૦ મેચોનું શેડ્યૂલ જાહેર થઈ ચૂક્યું છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી૨૦ મેચ 1 જુલાઈના રોજ ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે રમાશે. ત્યારબાદ ક્રમશઃ 4 જુલાઈએ મેન્ચેસ્ટર, 7 જુલાઈએ નોટિંગહામ, 9 જુલાઈએ બ્રિસ્ટલ અને છેલ્લી મેચ 11 જુલાઈએ સાઉધેમ્પટન ખાતે રમાશે. આ સીરીઝ ક્રિકેટના રોમાંચની સાથે એક મોટું વ્યવસાયિક આકર્ષણ પણ સાબિત થવાની છે.