જામમનગરમાં મહાનગરપાલિકા દ્રારા વિવિધ સ્થળો પર મહાનુભવોની પ્રતિમા મૂકવામાં આવી છે. પરંતુ આ પ્રતિમાની યોગ્ય જાળવણી અને સમયાંતરે સફાઇ ન થતા પ્રતિમાની ગરીમા જળવાતી નથી તો પ્રતિમાઓ પર ધૂળ જામી જતા બહારથી આવતા મુસાફરો પ્રતિમાની આ સ્થિતિ જોતા શહેરની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે.
જામનગર શહેરમાં મહત્વના અને સતત ટ્રાફીકથી ધમધમતા હવાઇચોક, લાલબંગલા સર્કલ, જિલ્લા પંચાયત સામે, રણજીતનગર, તળાવની પાળ સહીતના વિસ્તારોમાં ક્રીકેટર વિનુ માંકડ, મહારાણા પ્રતાપ, સરદાર વલ્લભભાઇ પટેલ સહીત અન્ય મહાનુભવોની પ્રતિમાઓ મહાનગરપાલીકા દ્વારા મૂકવામાં આવી છે. જે ખૂબજ ગૌરવની વાત છે.
આ પ્રતિમા મૂકવા માટે મહાનગરપાલીકા દ્વારા મસમોટો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. પરંતુ શહેરમાં જુદા-જુદા સ્થળો પર મૂકેલી મહાનુભવોની આ પ્રતિમાઓની યોગ્ય જાળવણી અને સફાઇ ન થતી હોવાની ફરિયાદો શહેરીજનોમાં જોરશોરથી ઉઠી છે. નવાઇની વાત તો એ છે કે, થોડા સમય પૂર્વે મહાનગરપાલિકા ની સોલીડ વેસ્ટ શાખાની સૂચના અનુસાર સમયાંતરે એટલે કે સંભવત: દર પખવાડીયે ફાયર બ્રિગેડ દ્વારા આ પ્રતિમાઓની સફાઇ કરવામાં આવતી હતી. આટલું જ નહીં જે-જે મહાનુભવોની પ્રતિમાની સફાઇ કરવામાં આવતી તેની તસ્વીર સાથેની યાદી મનપા દ્વારા માઘ્યમોને આપવામાં આવતી હતી.
પરંતુ છેલ્લા થોડા સમયથી શહેરમાં જુદા-જુદા સ્થળે મૂકવામાં આવેલી મહાનુભવોની પ્રતિમાની સફાઇ બંધ થયાની ફરિયાદો શહેરીજનોમાં ઉઠી છે. જન્મજંયતિ કે પુણ્યતિથિ પૂર્વે મહાનુભવોની પ્રતિમાની સફાઇ કરવામાં આવે છે અને ફુલહાર કરવામાં આવે છે. પરંતુ ત્યારબાદ સમયાંતરે સફાઇ ન થતાં આ પ્રતિમાઓમાં ફૂલના હાર દિવસો સુધી લટકતા જોવા મળે છે. આટલું જ નહીં દરિયાકાંઠાના કારણે શહેરનું હવામાન ભેજવાળું રહેતું હોય પ્રતિમાની સમયાંતરે સફાઇ ન થતાં ધૂળ જામી જાય છે. આથી પ્રતિમાઓની ગરીમા ન જળવાતી હોવાની ફરિયાદો પણ શહેરીજનોમાં ઉઠી છેે. બીજી બાજુ, શહેરની મુલાકાતે બહારથી મુસાફરો પણ આવતા હોય છે. ત્યારે મહાનુભવોની પ્રતિમાની આ સ્થિતિના કારણે શહેરની શાખને પણ બટ્ટો લાગી રહ્યો છે.